ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં મતદાન યોજાશે. જેમાં 1 લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન થવાનુ છે. પ્રથમ ચરણના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. જેમા તમામ રાજકીય પક્ષોએ છેલ્લી ઘડીના પ્રચારમાં તાકાત લગાવી હતી. અમરેલીના સાવરકુંડલામાં અભિનેતા પરેશ રાવલે રોડ શો કર્યો કર્યો હતો. ભાજપના ઉમેદવાર મહેશ કસવાળાના સમર્થનમાં રોડ શો કરી તેમણે ભાજપને મત આપવા અપીલ કરી હતી. આ રોડ શોમાં સાંસદ નારણ કાછડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતાપ દુધાત અને મહેશ કસવાલા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : પ્રથમ તબક્કા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે અમરેલીમાં અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સવારે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં દિલીપ સંઘાણી, પરષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે તેમણે મુલાકાત કરી. એટલુ જ નહીં ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ પણ લીધા. પરેશ ધાનાણીએ પરષોત્તમ રૂપાલાને પગે લાગતા પણ નજરે પડ્યા હતા.
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર આક્રમક બની રહ્યો છે. અમરેલીમાં રોડ શો પૂર્ણ કરી પરેશ રાવલે વલસાડમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. ભાજપના પ્રચાર માટે વલસાડ પહોંચેલા પરેશ રાવલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી યાત્રામાં ભલે ચાલે પણ રાજકારણમાં ન ચાલે. યાત્રામાં ચાલવા 25 હજારના બૂટ જોઈએ અને રાજકારણમાં ચાલવા માટે દિલમાં નિયત અને દિમાગ જોઈએ.
Published On - 11:52 pm, Tue, 29 November 22