ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટાભાગના ઉમેદવારો પ્રચાર, રોડ-શો, જનસભાને સંબોધનમાં વ્યસ્ત છે. જેમા અમદાવાદમાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાય હતો. અમદાવાદના ઘાટલોડિયામાં સીએમનો ભવ્ય રોડ શો મેમનગરના સુભાષ ચોકથી બોડકદેવ સુધી યોજાયો હતો. ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાનનો પોતાના મત વિસ્તારમાંનો આ રોડ શો ખાસ બની રહ્યો હતો.
ખુલ્લી જીપમાં સવાર થઇ તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. મેમનગરના સુભાષ ચોકથી શરૂ કરી ઘાટલોડિયા વિધાનસભાના વિવિધ વિસ્તારમાં તેઓ ફરવા નીકળ્યા હતા. રોડ શો સુભાષ ચોક, નિકિતા પાર્ક, સત્તાધાર ક્રોસ રોડ, ગુલાબ ટાવર, ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર થઇ બોડકદેવ પહોંચ્યો હતો.
ઘાટલોડિયા અમદાવાદની એક એવી બેઠક છે જે ભાજપ માટે સલામત સીટ ગણાય છે, એટલે ઘાટલોડિયા બેઠક. આ સીટે ભાજપને બે મુખ્યમંત્રી પણ આપ્યા છે. 2012 આનંદીબેન પટેલ આ બેઠક પરથી જીત્યા હતા. 2014 માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય આનંદીબેન પટેલને મુખ્યમંત્રીનો તાજ મળ્યો હતો. તો 2017 માં આ બેઠક પરથી આનંદીબેનના ખાસ ગણાતા ભુપેન્દ્ર પટેલ જીત્યા હતા, અને 2021 માં તેમના શિરે મુખ્યમંત્રીનો તાજ આવ્યો હતો. ભાજપમાંથી આ બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચૂંટણી લડશે, તો કોગ્રેસમાંથી દિગ્ગજ નેતા અમીબેન યાજ્ઞિક ચૂંટણી લડી રહ્યા છે..