ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ સુરેન્દ્રનગર પહોંચી છે ત્યારે ચૂંટણીનો ચોરો આજે સુરેન્દ્રનગરના વઢવાણમાં જામ્યો છે. જ્યારે ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે ભાજપ નેતા મહેન્દ્રભાઇ , કોંગ્રેસના નેતા તરુણ ગઢવી તથા રાજકીય વિશ્લેષક પ્રદીપસિંહ રાણા જોડાયા હતા
આ ડિબેટમાં 35 વર્ષથી વઢવાણ બેઠક પર ભાજપની સત્તા છે તો શું હાલ એન્ટિ-ઇન્કમબંસી ફેક્ટર જોવા મળે છે કે કેમ પ્રશ્નનો જવાબ આપતા ભાજપ નેતા મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, જે કામ કરે તે જ રાજ કરે, 35 વર્ષથી કામ કરીએ છીએ તેથી અમે જ રાજ કરીએ છીએ . તેમજ ઉમેદવાર કેમ બદલવો કેમ પડ્યો તે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અમારે ઉમેદવાર બદલવાની વાત કયા કરો છો કોંગ્રેસમાં તો ઉમેદવાર મળતા નથી. અમારા ઉમેદવારની વાત કયા કરો છો અમારો ઉમેદવાર છેલ્લા 22 વર્ષથી ભાજપનો કાર્યકર છે. કોંગ્રેસે જે ઉમેદવાર મૂક્યો છે તેમને લોકોએ ગામમાં જોયા પણ નથી. 10 દિવસથી પ્રચાર કરે છે. દીવાની દાઝ કોડિયા પર ઉતરે. શું ખબર પડે તરુણભાઇને ગામની કે નગરની.
કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કયા મુદ્દાઓ સાથે લોકો સમક્ષ જશે તે પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ નેતા અને વઢવાણના ઉમેદવાર તરુણ ગઢવીએ જણાવ્યું હતું કે, અમે જે મુદ્દાઓ લઇને જવાના છે તે બિલકુલ સામાન્ય છે તેમજ પ્રજાના પ્રાથમિક પ્રશ્નો છે. જેમાં લોકોના જે પ્રાથમિક મુદ્દાઓ રોડ, રસ્તા અને પાણી છે.
રાજકીય વિશ્લેષક પ્રદીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વઢવાણના સ્થાનિક પ્રશ્નો છે. સુરેન્દ્રનગરની પ્રજા ખૂબ સરળ છે. આ લોકોને પ્રાથમિક સુવિધા આપો તો પણ ભલે અને ના આપો તો પણ ભલે. સુરેન્દ્રનગર તો નિવૃત લોકોનું શહેર હોય તેમ લાગે છે. સુરેન્દ્રનગરમાં રોજગારીએ ખૂબ મોટો પ્રશ્ન છે. કોઇ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવી નથી. પરંતુ જ્યારે મતદાનની વાત આવે ત્યારે જ્ઞાતિવાદી સમીકરણ કામ કરે છે. તેમજ સામાજિક નેતા જેમ કહે તે રીતે લોકો ચાલે છે. લોકો પાર્ટી અને પીએમ મોદીના નામે મત આપે છે.