ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ અમદાવાદ જિલ્લાના ધોળકા પહોંચી છે. ત્યારે ચૂંટણીનો ચોરો આજે અમદાવાદ જિલ્લાના ધોળકા જામ્યો છે. જ્યારે ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે ભાજપ નેતા અને ઉમેદવાર કિરીટસિંહ ડાભી , કોંગ્રેસના નેતા પંકજકુમાર ઝાલા તથા રાજકીય વિશ્લેષક રાજેશ ભટ્ટ જોડાયા હતા
આ ડિબેટમાં કોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ પીએમ મોદી પર કરેલા નિવેદન અંગે જવાબ આપતા ભાજપ નેતા અને ઉમેદવાર કિરીટસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, તેમણે જ્યારે મોત ના સૌદાગર કીધા ત્યારે જનતાએ શું પરિણામ આપ્યું છે, તેમણે ચાયવાલા કીધા ત્યારે સુપડા સાફ કરી દીધા હતા, હિટલર કીધા ત્યારે પણ પરિણામ ભોગવવું પડ્યું હતું અને હવે પાછી તેમને કૂબુધ્ધિ સુઝી છે. આ વખતે પણ કોંગ્રેસને ફરી એકવાર લોકો જવાબ આપશે.
કોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ પીએમ મોદી પર કરેલા નિવેદનથી કોંગ્રેસને સૌરાષ્ટ્ર નુકશાન થશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના નેતા પંકજકુમાર ઝાલાએ જણાવ્યું હતું કે જયા સુધી સવાલ કોંગ્રેસનો છે. ત્યારે માટે ભાજપ નેતાને મારો એ જ સવાલ છે કે કેમ તમારે આખું પ્રધાન મંડળ બદલવું પડ્યું. તેમજ આ નિવેદનને લઇને મારુ માનવું છે કે આ નિવેદન કોંગ્રેસ પક્ષને નહિ નડે. કારણ કે રામ ભગવાન એ મર્યાદા પુરષોત્તમ હતા અને રાવણ એક અહંકારી હતો . તે જ રીતે પીએમ મોદી ખૂબ અહંકારી છે એટલે જ આમ કહેવામાં આવ્યું છે.
તેમજ શું આવા મુદ્દા મતદારો પર અસર કરે છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે આવા મુદ્દાઓ ચોક્કસ પણે અસર કરે છે કે કારણ કે મીડિયા આને ચલાઇ ચલાઇ કરે તેની અસર ચોક્કસ પણે થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન પદ માટે આવા શબ્દો યોગ્ય નથી.