ચૂંટણી આવે એટલે મત મેળવવા માટે નેતાઓએ અવનવી તરકીબો અજમાવતા હોય છે. ક્યારેક મતદારોને કાલાવાલા અને મનામણા કરવા પડે છે તો ક્યારેક પોતે મતદારોનું ભલું ઈચ્છે છે તેવું દર્શાવવા માટે અવનવી રીત પણ અજમાવવી પડે છે. તેમ છતાં નેતાઓએ લોકોના રોષનું ભોગ બનવું પડે છે. આવું જ કંઈક અમરેલીના રાજુલામાં કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર સાથે થયુ. કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેરે ચાંચ બંદર ગામમાં પ્રચાર માટે નવતર રીત અજમાવી. ચાંચ બંદર ગામની પુલ બનાવવાની માગ તંત્ર સુધી પહોંચાડવા અંબરીશ ડેર પાણીની ખાડીમાં તરતા તરતા સામા કાંઠે પહોંચ્યા હતા.
અંબરીશ ડેરે તેમના સમર્થકો સાથે પાણીની ખાડીમાં ઝંપલાવ્યું અને તરતા તરતા સામે પાર પહોંચ્યા. અંબરીશ ડેરે જણાવ્યું કે અહીં પુલ બનાવવા માટે મેં વિધાનસભામાં પણ અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી પુલ નથી બનાવાયો. આથી સરકારની આંખ ખોલવા અને વિરોધના ભાગરૂપે હું તરીને અહીં પહોંચ્યો.
જો કે અંબરીશ ડેર પાણીમાં તરીને સામા કાંઠે પહોંચતા જ તેમણે ચાંચ બંદર ગામની મહિલાઓ સહિત ગ્રામજનોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો. લોકોએ અંબરીશ ડેરને વેધક સવાલો પૂછતા કહ્યું કે તમે ચૂંટણી વખતે જ કેમ આવ્યા ?. અત્યાર સુધી કેમ તરતા ન આવડ્યું? સ્થાનિકોએ આ નાટક બંધ કરોના સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો.
આ દરમ્યાન ગ્રામજનો તેમજ અંબરીશ ડેરના સમર્થકો સામ સામે આવી ગયા. જો કે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ વાત વધુ વણસે નહીં તેની તકેદારી રાખી. મહત્વનું છે કે રાજુલાના દરિયા કાંઠે આવેલ ચાંચ બંદર ગામમા જવા માટે 35 કિલોમીટર દૂર ફરી જવું પડે છે જેના કારણે ગ્રામજનોને મુશ્કેલી સર્જાય છે. આ મુશ્કેલી દૂર કરવા અંબરીશ ડેર પાણીમાં તો ઉતર્યા, પરંતુ લોકોનો રોષ જોતા તેમની મહેનત પર પાણી ફરી વળ્યું.
ગામ લોકોના વિરોધી સૂત્રોચ્ચાર થતા અંબરીશ ડેરે કહ્યુ કે જો હું ચૂંટાઈને આવીશ તો પાંચ વર્ષમાં પૂલ બનાવી આપીશ. જો પૂલ ન બને તો હું આ ગામમાં ફરી ક્યારેય મત માગવા નહીં આવુ.