Gujarati Video: જામનગરની રંગમતી નદી પર પુલની કામગીરી સ્થગિત, જાગૃત નાગરિકે મનપાની નીતિ સામે ઉઠાવ્યા સવાલ

Gujarati Video: જામનગરની રંગમતી નદી પર પુલની કામગીરી સ્થગિત, જાગૃત નાગરિકે મનપાની નીતિ સામે ઉઠાવ્યા સવાલ

| Edited By: | Updated on: Feb 05, 2023 | 11:22 PM

Jamnagar ની રંગમતી નદી પર બની રહેલા પુલની કામગીરી મનપા કમિશનરની સૂચના બાદ બંધ કરી દેવામાં આવી છે. જાગૃત નાગરિકે ધ્યાન દોર્યા બાદ મનપા કમિશનરે માત્ર મૌખિક જાણકારી આપીને કામ બંધ કરાવ્યુ હતુ ત્યારે મનપાના અધિકારીઓ પણ બિલ્ડરોને છાવરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

જામનગર લાલપુર બાયપાસ નજીક રંગમતિ નદી પર એક પુલ બનાવવાનું કામ કરવામાં આવ્યું. આ પુલ સરકારી વિભાગ કે સંસ્થા નહીં બનાવતી હોવાની શંકાના આધારે એક જાગૃત નાગરિકે તપાસ કરી તો સામે આવ્યું કે બિલ્ડરો તરફથી આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે એવું હોય કે જ્યારે પણ પુલ બનાવવમાં આવતો હોય તો તેના માટે અમુક સરકારી વિભાગોની મંજૂરી લેવી પડે છે. સાથે જ બાંધકામ અંગે સ્થળ ખાતે અમુક સૂચનાઓ પણ મારવામાં આવે છે. પરંતુ આવું કંઈ પણ ધ્યાને નહીં આવતા જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશનરનું ધ્યાન દોર્યું છે.

આ તરફ મહાનગરપાલિકાના કમિશનરનું કહેવું છે કે સરકારની મંજૂરી વિના જ બની રહેલા પુલનું કામ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. સાથે જ ટેક્નીકલ ચકાસણી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વાત પણ અધિકારીએ કરી.

આ સમગ્ર મુદ્દે જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા છે કે કમિશનર તરફથી ફક્ત મૌખિક જાણકારી આપીને કામ બંધ કરાવવામાં આવ્યું છે. સાથે જ આક્ષેપ થઈ રહ્યા છે કે અધિકારીઓ અને આગેવાનો બિલ્ડરોને છાવરી રહ્યા છે. જેથી કમિશનર કોઈ કાર્યવાહી નહીં કરે તો આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી પણ જાગૃત નાગરિકે દર્શાવી છે.

આ પણ વાંચો: Video: જામનગરનું બસસ્ટેન્ડ બન્યુ જર્જરીત, ગમે ત્યારે છત ધસી પડે તેવી સ્થિતિ, કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા સમારકામ કરાવવાની ઉઠી માગ

અહીં સવાલ એ છે કે સામાન્ય દબાણ હટાવવાનું હોય તો પણ તંત્ર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવતી હોય તો પુલ જેવા મોટા બાંધકામ માટે તંત્ર તરફથી શા માટે કોઈ પગલા લેવામાં નથી આવતા.