Gandhinagar Breaking News : સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
આ અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક અને વેક્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. Faith Industries નામની ફેક્ટરીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દૂર દૂરથી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આગની ઊંચી જ્વાળાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત
આ અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને સતત કલાકો સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
સાંજે લાગેલી આગ બીજા દિવસે કાબુમાં આવી
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ફેક્ટરીમાં રહેલા પ્લાસ્ટિક અને કેમિકલ જેવા જ્વલનશીલ સામાનને કારણે આગ વધુ ભભૂકી ઉઠી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે અંદાજે 12 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ગઇકાલે સાંજે લાગેલી આગ આખરે આજે સવારે કાબૂમાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી
અગ્નિકાંડ બાદ સમગ્ર ફેક્ટરીનો મોટો ભાગ બળી ને ખાખ થઈ ગયો છે. હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.