ફરી એકવાર સિંહોની સુરક્ષા સામે સવાલ, ઊંઘતુ ઝડપાયુ વનવિભાગ, માલગાડી રોકીને રેલવે કર્મીઓએ સિંહોને બચાવ્યા- જુઓ Video

|

Jun 17, 2024 | 7:19 PM

ફરી એકવાર સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. અમરેલીમાં રેલવે ટ્રેક પર એકસાથે 10 આવી ચડતા માલગાડી રોકીને રેલવિભાગના કર્મીઓએ સિંહોને બચાવ્યા છે. સિંહોની સુરક્ષા મામલે ફરી એકવાર વનવિભાગ ઉંઘતુ ઝડપાયુ છે. રેલવે ટ્રેક સુધી સિંહો આવી ચડે છે અને વનવિભાગના કર્મીઓને તેની જાણ સુદ્ધા હોતી નથી.

સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. સિંહો પોતાના ગઢમાં જ સુરક્ષિત ન હોવાનુ ફરી એકવાર સામે આવ્યુ છે. ફરી એકવાર વનવિભાગ ઉંઘતુ ઝડપાયુ છે. અમરેલી પીપાવાવ પોર્ટના રેલવે ટ્રેક પર એકસાથે 10 સિંહો આવી ચડતા રેલવેકર્મીઓએ માલગાડીને રોકીને તેમને બચાવ્યા હતા. જો કે આ મામલો સામે આવતા જ વનવિભાગ આળસ મરડીને બેઠુ થયુ છે અને તેમની બેદરકારી છુપાવવા માટે સિંહોને બચાવવાનો 15 જૂનનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

પોતાની પોલપટ્ટી પકડાતા વનવિભાગ જૂના વીડિયો જાહેર કરીને પોતાની જ પીઠ થાબડી રહ્યુ છે. વનવિભાગે પણ દાવો કર્યો છે કે શેત્રુંજી ડિવિઝન પણ જોરદાર કામગીરી કરી રહ્યો છે. સવારે જ્યારે રેલવે વિભાગના કર્મીઓની સમયસૂચકતાથી 10 સિંહોના જીવ બચ્યા ત્યારે વનવિભાગના કર્મીઓ ગેરહાજર હતા. ત્યારે ડી.સી.એફ જયન પટેલે રાત્રે સિંહોને અલગ અલગ જગ્યા પર ટ્રેક ક્રોસ કરાવ્યાનો દાવો કરીને વનવિભાગની નિષ્ક્રિયતા પર ઢાંકપિછોડો કરવા પ્રયાસ કર્યો હતો.

રેલવે ટ્રેક પર સિંહોના આવી જવાની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ ટ્રેનની એડફેટે એક વર્ષમાં 8થી વધુ સિંહોના મોત થયા છે. જેમા 3થી વધુ સિંહ બાળ બે સિંહ અને બે સિંહણનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમરેલીના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદ- Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:19 pm, Mon, 17 June 24

Next Video