તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યમાં અલગ અલગ દરોડા પાડ્યા છે. ત્યારે નવસારીના ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડ્યા છે. આયુર્વેદિક દવામાં ભેળસેળની આશંકાએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીખલીના કાંગવાઈ ગામેથી આયુર્વેદિક દવાનો જથ્થો જપ્ત કરાયો છે. ઇસ્માઇલ અને ઇમરાન માલધરિયાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી.
રજિસ્ટ્રેશન વગર જ આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરાતા હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન પેરાસિટોમોલ દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. નવજીવન ઉપચાર કેન્દ્રની આડમાં ચાલતો ગોરખધંધાનો પર્દાફાશ થતા આરોપીઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર ડાયાબિટીસ નિષ્ણાતના નામે પ્રેક્ટિસ કરતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈસમોએ ઘરનો દરવાજો ન ખોલતા પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. 5 કલાક બાદ ઘરમાં પ્રવેશ મેળવી દવાના સેમ્પલ લેવાયા છે.