આજથી નવરાત્રીની શુભ શરુઆત થઈ છે. ત્યારે અમદાવાદ શહેરમાં નવરાત્રી આયોજનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફાયર વિભાગે 21 મોટા ગરબા આયોજકોને ફાયર NOC આપી છે. ફાયર વિભાગ પાસે અત્યાર સુધીમાં 70 અરજીઓ મળી હતી. નિયમ પાલન કરનાર ગરબા આયોજકોને જ પરવાનગી આપવામાં આવી છે. બીજી તરફ અત્યાર સુધી પોલીસ વિભાગને 82 અરજી આવી છે. ફાયર NOC સિવાય મોટા ગરબા આયોજકોને પરવાનગી આપવામાં આવી નથી. જે આયોજક ફાયર NOC જમા કરાવશે તેને મંજૂરી અપાશે.
બીજી તરફ સુરત જિલ્લા પોલીસ પણ નવરાત્રીને લઈ સજ્જ બની છે. આ વર્ષે સુરત શહેરમાં કુલ ત્રણ હજારથી વધુ ગરબાના આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં 15 કોમર્શિયલ ગરબા, 27 મોટા ગરબા અને શેરી ગરબાનો સમાવેશ થાય છે. શહેરમાં જ્યાં મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે તે સ્થળની સુરત પોલીસ કમિશનરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી 2024માં તૈયાર કરેલા ડોમનું પણ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા છે.