વડોદરા શહેરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધાને અડફેટે લીધા છે. શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં આ ઘટના બની હતી. બંગલાઓમાં ઘરકામ કરતાં મુક્તાબેન નામના વૃદ્ધા દવા લઇને તેમના ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન ગાયના ટોળાએ તેમના પર હુમલો કર્યો. જો કે ગાય વધુ હુમલો કરે તે પહેલા રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓએ વૃદ્ધાને બચાવી લીધા હતા. જો કે રખડતા ઢોરના હુમલાને કારણે વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર થયું હતુ. પીડિત વૃદ્ધાના પરિવારજનોએ તંત્ર રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી છે.
વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફક્ત માર્ચ મહિનામાં જ રખડતા ઢોરના હુમલાના અનેક બનાવો બન્યા છે, પરંતુ મહાનગરપાલિકા તંત્ર ફક્ત કાગળ પર ઢોર પકડવાની કામગીરી દર્શાવી સંતોષ માની રહ્યું છે. માર્ચના પ્રારંભે જ માણેજા વિસ્તારમાં ગાયના ટોળાએ વૃદ્ધા પર એવો હિંસક હુમલો કર્યો હતો અને વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.
ત્યાર બાદ મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં રખડતા ઢોરે વૃદ્ધ પર હુમલો કરતા તેને આંખ અને ચહેરા પર ઇજાઓ પહોંચી હતી. તો કિશનવાડી વિસ્તારમાં પણ ગાયના ટોળાએ વૃદ્ધને અડફેટે લીધા હતા. સમા વિસ્તારમાં અભિલાષા સોસાયટી નજીક રખડતી ગાયે અચાનક બાઇકચાલક પર હુમલો કર્યો હતો. જે પછી ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હવે સવાલ એ છે કે આખરે રખડતા ઢોરની સમસ્યાનો ક્યારે આવશે અંત ?
વડોદરામાં ઢોરના હુમલાની ઘટના બાદ હવે કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે. કોર્પોરેશન દ્વારા નાગરવાડા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભોગ બનનારના ઘરની સામેથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નાગરવાડા બાદ ભૂતડી ઝાંપા વિસ્તારમાં બંગલામાં ઘરકામ કરતા વૃદ્ધા પર ગાયના ટોળાએ હુમલો કર્યો હતો. શહેરમાં રખડતા ઢોરના ત્રાસના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેથી તાત્કાલિક ધોરણે ઢોરોને પકડવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી.
Published On - 3:22 pm, Mon, 20 March 23