રાજકોટઃ વિકાસના કામો સમય મર્યાદામાં પૂરા થતા નથીઃ કુંવરજી બાવળિયા

પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાએ આપેલી સૂચનાને જિલ્લા પંચાયતના પ્રમુખે યોગ્ય ગણાવી. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કહ્યું કે વરિષ્ઠ આગેવાનના સૂચન પર અમલ થશે. જો કોઈ પેટ્રા કોન્ટ્રાક્ટર કામમાં ઢીલ રાખશે તો પગલા લેવામાં આવશે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 17, 2022 | 5:17 PM

રાજકોટમાં (Rajkot) વિકાસના કાર્યો (Development works) ચોક્કસ સમય મર્યાદામાં પૂરા ન થતા હોવા મુદ્દે કુંવરજી બાવળિયાએ (Kunwarji Bawaliya)અધિકારીઓને ટકોર કરી. પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાએ કહ્યું કે પેટા કોન્ટ્રાક્ટરો સમયસર કામ પૂર્ણ કરતા નથી. જેથી વિકાસના કામો અટકી જાય છે. કુંવરજી બાવળિયાએ DDOને વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ થાય તેની તકેદારી રાખવા સૂચના આપી.

પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાએ આપેલી સૂચનાને જિલ્લા પંચાયતના પ્રમુખે યોગ્ય ગણાવી. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે કહ્યું કે વરિષ્ઠ આગેવાનના સૂચન પર અમલ થશે. જો કોઈ પેટ્રા કોન્ટ્રાક્ટર કામમાં ઢીલ રાખશે તો પગલા લેવામાં આવશે.

કુંવરજી બાવળિયાએ કેબિનેટ મંત્રી પદ છોડ્યા બાદ તેઓ અધિકારીઓની કામગીરીથી ખફા હોવાનો સૂર જોવા મળ્યો છે.ક્યારેક જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં તો ક્યારેક કોન્ટ્રાક્ટરોની કામગીરીમાં કુંવરજી બાવળિયા સરકારી અધિકારીઓ સામે સવાલો ઉભા કરતા જોવા મળી રહ્યા છે.આજે રાજકોટ જિલ્લા પંચાયતની હેમુ ગઢવી હોલ ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં કુંવરજી બાવળિયા પેટા કોન્ટ્રાક્ટરોની કામગીરીથી નારાજ હોવાનું કહીને જિલ્લા વિકાસ અધિકારીને ટકોર કરી હતી.કુંવરજી બાવળિયાની ટકોરથી થોડા સમય માટે સભા સ્તબ્ધ થઇ ગઇ હતી.કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે સરકાર દ્રારા શરૂ કરવામાં આવેલા વિકાસના કામોમાં ઢીલાશ જોવા મળી રહી છે કારણ કે મુખ્ય કોન્ટ્રાક્ટરો એનકેન પ્રકારે સરકારમાંથી કામ મંજૂર કરાવીને પેટા કોન્ટ્રાક્ટરોને સોંપી દે છે અને ત્યારબાદ પેટા કોન્ટ્રાક્ટરો આ કામ સારી રીતે અને સમયસર કરી શકતા નથી.સ્થાનિક લેવલે પેટા કોન્ટ્રાકર સાથે સંધર્ષ થાય છે.કુંવરજી બાવળિયાએ પેટા કોન્ટ્રાક્ટરો દ્રારા ચાલતા કામોનું રિવ્યુ કરીને સમસસર કામો પુરા કરવાની ટકોર કરી છે.

આ અગાઉ જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં 40 પ્રશ્નો પુછ્યા

આ પહેલી વખત નથી કે કુંવરજી બાવળિયાએ અધિકારીઓએ કામ ન થતા હોવાનો વસવસો વ્યક્ત કર્યો હોય અગાઉ કુંવરજી બાવળિયાએ જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં કુલ 40 જેટલા પ્રશ્નો પુછ્યા હતા જેમાં તેમના મત વિસ્તારના બાંધકામ,આરોગ્ય,એસટી વિભાગ તથા પીજીવીસીએલ સહિતની કામગીરીના હોય.કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી તમામ કામગીરી પૂર્ણ કરવાની તાકિદ કરી હતી.બાવળિયાએ તેમના વિસ્તારમાં વિકાસના કામો ધીમી ગતિએ થતા હોવાનો આક્ષેપ કર્યો હતો જો કે કોરોનાને કારણે છેલ્લી ત્રણ વખતથી સંકલનની બેઠક રદ્દ થઇ રહી છે જેથી બાવળિયાના પ્રશ્નોના હજુ પ્રત્યુતર મળી રહ્યા નથી. બાવળીયાના કુલ 120 જેટલા પ્રશ્નોના મુદ્દે કલેક્ટરે સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી પડી હતી.

કુંવરજી બાવળિયાનું સૂચન સ્વીકારી કાર્યવાહી કરાશે-જિલ્લા પંચાયત પ્રમુખ

કુંવરજી બાવળિયાના સૂચન અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે કહ્યું હતું કે કુંવરજી બાવળિયાએ જે નિવેદન કર્યું છે તેને સ્વીકારવામાં આવશે.તમામ સભ્યો,ટીડીઓ અને તલાટીઓને સૂચન કરવામાં આવ્યું છે કે તેમના વિસ્તારમાં કોન્ટ્રાક્ટર કામની ઢીલાશ રાખતું હોય તો લેખિતમાં ફરિયાદ કરવી.લેખિત ફરીયાદના આધારે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.કોઇપણ કામ માટે મુખ્ય કોન્ટ્રાક્ટર જવાબદાર હોય છે જેથી કામગીરીમાં કોઇ ઢીલાશ અથવા તો અન્ય કોઇ મુશ્કેલી હશે તો તેના માટે મુખ્ય કોન્ટ્રાક્ટર સામે જ કાર્યવાહી થશે.

બાવળિયા સાચું કહી રહ્યા છે,પેટા કોન્ટ્રાક્ટ પ્રથા બંઘ થવી જોઇએ-કોંગ્રેસ

આ અંગે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે કુંવરજી બાવળિયા સાચું કહી રહ્યા છે.પેટા કોન્ટ્રાક્ટરને કારણે વિકાસના કામો થતા નથી.કોઇ કામગીરી મુખ્ય કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે છે તો તેઓ શા માટે પેટા કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે તેવો કોંગ્રેસે સવાલ ઉભો કર્યો હતો અને પેટા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માંગ કરી હતી.

રાજકીય કોલ્ડ વોરથી બાવળિયા અધિકારીઓ સામે ખફા

જસદણ વિસ્તારમાં કુંવરજી બાવળિયા અને ભરત બોધરાની કોલ્ડવોર જાણીતી છે.આ કોલ્ડવોરને કારણે ક્યારેક અધિકારીઓને પણ કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારમાં વિકાસના કામોને લઇને બે નેતાઓ વચ્ચેના મતભેદ ખુબ જ મુશ્કેલી ઉભી કર્યા છે જેના કારણે અધિકારીઓને કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે.સ્થિતિ એટલે અંશે કથળી રહી છે કે ક્યારેક એક નેતાના કહેવાથી અધિકારીએ નિર્ણય લીધો હોય છે અને બીજા નેતા તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે કુંવરજી બાવળિયા અધિકારીઓ પર નિશાન સાંધીને તેના વિસ્તારોમાં તેને સૂચવેલા કામો ઝડપી થાય તેવો આગ્રહ રાખી રહ્યા છે..

આ પણ વાંચો : અમદાવાદ શહેર પોલીસમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 85 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

આ પણ વાંચો : કચ્છમાં 21- 22 જાન્યુઆરીએ વરસાદ પડશે, ઠંડીનું જોર ઘટશે : હવામાન વિભાગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">