Cyclone Tauktae Update : વાવાઝોડાને પગલે પોરબંદરમાંથી સ્થળાંતર થયેલા લોકોને પડી તકલીફ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધરાત સુધીમાં વાવાઝોડુ પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે.
Cyclone Tauktae Update : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધરાત સુધીમાં વાવાઝોડુ પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે 150 થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRF ની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSF ની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.
પોરબંદરજિલ્લા અને ગ્રામ્ય કુલ વિસ્તારમાંથી 2 હજાર લોકોનું સ્થળાંતર આવ્યું છે, તો જિલ્લાભરમાંથી કુલ 7 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. માધવપુરના દરિયાકિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં રાહત અને બચાવ માટે NDRF ની કુલ 3 કંપની અને SDRF ની 1 કંપની તૈનાત કરવામાં આવી છે.
આ સ્થળાંતર કરવામાં આવેલા લોકોને સરકારી શાળા અને કોલેજમાં આશરો આપવામાં આવ્યો છે. પોરબંદર સાયન્સ સ્કુલમાં 500 લોકોને ખસેડાયા છે. દરિયા કિનારાના લોકોને રાહત શિબિરમાં આશરો અપાયો છે. તો બીજી તરફ વ્યવસ્થાના નામે મીંડુ હોવાની અસરગ્રસ્તોની ફરિયાદ કરી છે.
જણાવી દઈએ કે, પોરબંદર અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે. પોરબંદર પોર્ટ પર 8 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની તાકાત વધતા 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલને ભયસૂચક ગણવામાં આવે છે, જેથી કરીને સમુદ્ર તટ પર કે આસપાસ વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચિત કરતું સિગ્નલ છે.