Ahmedabad : મહાઠગ શબ્દ સાંભળતા જ એક વ્યક્તિ જ નજર સામે આવે છે. તે છે કિરણ પટેલ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મહાઠગ કિરણ પટેલને (Kiran Patel) જમ્મુ કાશ્મીરથી (Jammu Kashmir) અમદાવાદ લાવવામાં આવ્યો છે. મહાઠગ કિરણ પટેલ સામે નોંધાયેલી છેતરપિંડી કેસમાં તેને અમદાવાદ લવાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી જમ્મુ-કાશ્મીરથી કિરણની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ લાવ્યા બાદ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો છે.
કિરણ પટેલ સામે મોરબીના વેપારી ભરત પટેલ સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે. ઠગ કિરણ પટેલે PMOના ઓફિસર તરીકે ઓળખ આપી વેપારીને GPCB માં લાઇસન્સ કઢાવી આપવાનું કહી છેતરપીંડી આચરી હતી. ઠગ કિરણ પટેલએ વેપારી ભરત પટેલ પાસે 42.86લાખ રૂપિયા લઈ કામ કર્યું ન હતું. કામ થયું ન હોવાથી પૈસા વેપારી પરત માંગતા ટુકડે ટુકડે 11.75 લાખ આપ્યા હતા. 31.11 લાખ રૂપિયા પરત ન આપતા છેતરપીંડી ફરિયાદ નોંધાઇ હતી.
મહાઠગની ક્રાઈમ કુંડળીની વાત કરીએ તો સંવેદનશીલ વિસ્તાર ગણાતા જમ્મુ કાશ્મીરમાં કિરણ પટેલે PMOના એડિશનલ ડાયરેક્ટરની ઓળખ આપી હતી. જમ્મુ કાશ્મીરમાં છ મહિનામાં ચાર વખત પ્રવાસ કર્યો. PMO અધિકારી બની Z+ સિક્યુરીટી સાથે ફર્યો અને બુલેટપ્રૂફ SUV, ફાઈવ સ્ટારમાં રોકાણ જેવી સુવિધાઓ મેળવી. અનેક ઉચ્ચ અધિકારીઓ અને IPS અધિકારીઓ સાથે મુલાકાત કરી. ગુજરાતી વેપારીઓ માટે પદાધિકારીઓ સાથે બેઠક પણ નક્કી કરી. સ્થાનિક ભાજપ અને RSSના પદાધિકારીઓ સાથે તાલમેલ વધાર્યો. ભાંડો ફૂટતા EDએ મહાઠગ કિરણના 12 ઠેકાણા પર સર્ચ ઓપરેશન કર્યું. જેમાં સર્ચ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજ મળ્યા હતા. જમીનના દસ્તાવેજની સાથે સાથે ગુનાહિત પ્રવૃતિની સામગ્રી પણ મળી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો
Published On - 3:06 pm, Thu, 10 August 23