AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, વહેલી સવારથી જ ધાબા પર ચઢ્યા લોકો, જુઓ VIDEO

Breaking news : અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, વહેલી સવારથી જ ધાબા પર ચઢ્યા લોકો, જુઓ VIDEO

| Updated on: Jan 14, 2026 | 9:39 AM
Share

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી ચાલી રહી છે. મણિનગર વિસ્તારમાં વહેલી સવારથી જ યુવાનો ધાબા પર ચઢી ગયા છે. સારા પવનને કારણે પતંગરસિકોમાં ઉત્સાહનો માહોલ છે. રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ છવાઈ ગયું છે, જ્યારે લોકો ઉંધિયું-જલેબી સહિતના વ્યંજનોની મજા માણી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગરસિકોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો છે. ખાસ કરીને મણિનગર વિસ્તારમાં યુવાનો અને ઘણા પરિવારો વહેલી સવારથી જ ધાબા પર ચઢી ગયા છે. અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે, જે આ તહેવારની આગવી ઓળખ બની રહી છે.

પવનની ગતિ અનુકૂળ હોવાથી પતંગ ચગાવવામાં લોકોને ખૂબ જ મજા પડી રહી છે. મોસમ વિભાગ દ્વારા 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિનો પવન રહેવાની આગાહી કરવામાં આવી હતી, જે પતંગરસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મણિનગરના ધાબાઓ પર ગીતો વાગી રહ્યા છે અને યુવાનો એકબીજાના પતંગ કાપવાની મોજ માણી રહ્યા છે. આ દ્રશ્યો અમદાવાદની ઉત્તરાયણની જીવંતતા દર્શાવે છે.

ઉત્તરાયણનો માહોલ ફક્ત દિવસ પૂરતો સીમિત નથી. અમદાવાદમાં 13મી તારીખની મધરાતથી જ ઉત્તરાયણની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો હોય છે. યુવાનો, પરિવારો અને મિત્રો સાથે વહેલી સવારથી લઈને મધરાત સુધી પતંગ ચગાવીને આ તહેવારની મજા માણે છે. અમદાવાદ પૂર્વ ખાસ કરીને રાયપુર અને મણિનગર જેવા વિસ્તારોમાં ઉત્તરાયણનું અનેરું મહત્વ છે. રાયપુરમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ પણ જોવા મળે છે, જ્યાં ધાબાનું ભાડું 40 થી 50 હજાર રૂપિયા સુધી બોલાવવામાં આવે છે. કેટલાક યુવાનો જણાવે છે કે તેમને રાત્રે 10 વાગ્યા પછી સફેદ પતંગો સાથે આતશબાજી કરવાની વધુ મજા આવે છે, દિવસની ઉજવણી તો ફક્ત એક “ટ્રેલર” સમાન છે.

પતંગ ચગાવવાની સાથે સાથે અમદાવાદીઓ ખાણી-પીણીમાં પણ પાછળ નથી રહેતા. ઉત્તરાયણ ઉંધિયું, જલેબી અને ચીકી માટે પ્રખ્યાત છે. લોકો વહેલી સવારથી ઉંધિયું-ચીકી ખાઈને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. ઉંધિયા-જલેબીની દુકાનો પર લાંબી કતારો જોવા મળે છે. ઘણા લોકો તો અગાઉથી પોતાના ઓળખાણનો ઉપયોગ કરીને 5-10 કિલો ઉંધિયાનો ઓર્ડર આપી દે છે, જેથી ભીડમાં ઉભા રહેવું ન પડે. ફાફડા અને તલની ચીકી જેવા ફરસાણ પણ ઉત્તરાયણની મજાને બમણી કરી દે છે.

અમદાવાદની ઉત્તરાયણ એ માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પરંતુ પરિવાર અને મિત્રો સાથે મળીને કામકાજ બાજુ પર મૂકીને ખાણી-પીણી અને આનંદની ઉજવણી કરવાનો એક અનોખો ઉત્સવ છે.

Input credit : Ronak Varma

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">