અમદાવાદ શહેરમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન ચાલી રહ્યું છે. આજે વહેલી સવારથી IT અધિકારીઓના અમદાવાદમાં ધામ છે. એકસાથે 33 સ્થળોએ IT વિભાગ ત્રાટક્યું છે. જેમાં કામેશ્વર અને દીપ બિલ્ડરને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કામેશ્વર ગ્રુપના પ્રહલાદ પટેલ, દીપેન પટેલને ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલું છે.તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવ્હારો મળે તેવી પણ શક્યતાઓ છે. તો ચાલો જાણીએ ઈન્કમટેક્સ વિભાગના દરોડા કેમ પડે છે.
આવકવેરા વિભાગના દરોડા આવકવેરા કાયદાની કલમ 132 હેઠળ આવે છે. આ કાયદા હેઠળ, અધિકારીઓ કોઈપણ વ્યક્તિના વ્યવસાય અથવા ઘર પર દરોડા પાડી શકે છે. દરોડા ગમે ત્યારે થઈ શકે છે અને ગમે તેટલા લાંબા સમય સુધી ચાલી શકે છે. વધુમાં, જો કોઈ ગેરરીતિ જોવા મળે છે, તો મિલકત જપ્ત કરી શકાય છે. પોલીસની મદદથી પરિસરમાં હાજર કોઈપણ વ્યક્તિની શોધ કરી શકાય છે. દરોડા દરમિયાન, અધિકારીઓ માહિતી મેળવવા માટે તાળા તોડી પણ શકે છે.
નાણાં મંત્રાલય હેઠળની એજન્સીઓ, જેમ કે આવકવેરા વિભાગ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), એવા વ્યક્તિઓ પર નજર રાખે છે જેઓ ટેક્સ ચૂકવતા નથી. તેઓ એવા વ્યક્તિઓ પર પણ નજર રાખે છે જેમની આવક અને કમાણીમાં અંતર અલગ અલગ હોય છે અથવા જેમના પર ટેક્સચોરીનો શંકા હોય છે.