Breaking News: પોરબંદરમાં લિકર શોપને મંજૂરી મળતા ભડકો, બાપુના વિચારોને ખતમ કરવાનું આ મોટું ષડયંત્ર છે : કોંગ્રેસ

| Edited By: | Updated on: Mar 31, 2026 | 6:02 PM

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પ્રવાસનને વેગ આપવાના બહાને રાજ્ય સરકારે લિકર શોપને મંજૂરી આપતા રાજકારણ ગરમાયું છે. સ્થાનિક હોટલોમાં પરમિટધારકો માટે દારૂ ઉપલબ્ધ કરાવવાના નિર્ણય સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે.

ગાંધીજીના સત્ય અને અહિંસાના પ્રતીક સમાન પોરબંદર શહેરમાં હવે પરમિટધારકો માટે દારૂની સુવિધા ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક પરમિટધારકોની સુવિધા માટે જાણીતી હોટલોમાં લિકર શોપ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે, આ નિર્ણય સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે.

પ્રવાસન વધારવા લિકર શોપને લીલી ઝંડી

પોરબંદરમાં અંદાજે 1500 જેટલા હેલ્થ પરમિટધારકો છે, જેમને અત્યાર સુધી દારૂ લેવા માટે જૂનાગઢ કે જામનગર સુધી ધક્કા ખાવા પડતા હતા. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને પણ આ મુશ્કેલી ન નડે તે માટે સરકારે સ્થાનિક હોટલને લિકર શોપની પરવાનગી આપી છે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય, તો ટૂંક સમયમાં જ ગાંધીજીની આ પવિત્ર ભૂમિ પર પરમિટવાળો દારૂ મળવાનું શરૂ થઈ જશે.

કોંગ્રેસની લાલ આંખ: ભાજપ પર આકરા પ્રહાર

સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ નિર્ણયને અત્યંત અસંવેદનશીલ ગણાવતા કહ્યું કે, “ભાજપ અત્યાર સુધી ગાંધીજીની સંસ્થાઓને ખતમ કરતી હતી, હવે તે ગાંધીજીના વિચારોને પણ ખતમ કરવા માંગે છે.” કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બાપુના જન્મસ્થળ પર દારૂની દુકાન ખોલવી એ તેમની ગરિમાનું અપમાન છે.

કોંગ્રેસે આ વિવાદાસ્પદ પ્રસ્તાવને તાત્કાલિક ધોરણે પાછો ખેંચવાની માંગ કરી છે અને સરકારને ચેતવણી આપી છે કે ગાંધીજીના સન્માન સાથે છેડા કરવાનું બંધ કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે પ્રવાસન અને પરમિટના નામે લેવાયેલો આ નિર્ણય સરકાર પાછો ખેંચે છે કે પછી વિરોધ છતાં લિકર શોપ શરૂ કરવામાં આવશે.

(ઈનપુટ ક્રેડિટ: હિતેશ ઠકરાર)

Breaking News: સુરતના લિંબાયતમાં મોતનું તાંડવ રહેણાક મકાનમાં 8 ટન સાડીના જથ્થાએ લીધો 5 નિર્દોષનો ભોગ

Follow Us