Breaking News: અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, શું મેટિંગ દરમિયાન પજવણી થઈ હતી? વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં સિંહના હુમલામાં યુવકના મોતની ઘટનાને વનવિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાના અનુસંધાને શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં સિંહના હુમલામાં યુવકના મોતની ઘટનાને વનવિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાના અનુસંધાને શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
સિંહો મેટિંગ પિરિયડમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
વનવિભાગે કાર્યવાહી કરતાં એક સિંહને ટ્રેન્ક્વિલાઇઝ કરીને પાંજરે પૂર્યો છે. ડીસીએફ ચિરાગ અમીને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે સિંહો મેટિંગ પિરિયડમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા પજવણી કે ઉશ્કેરણી થઈ હોય તેવી સંભાવના નકારી શકાય નહીં. આખી ઘટનાની તમામ પાસાઓથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી
આ ઘટનાને પગલે જૂનાગઢ વનવર્તુળના સીએફ રામ રતન નાલાએ પણ કાયદેસરની કાર્યવાહી કરવા અને સમગ્ર મામલાની વિગતવાર તપાસના નિર્દેશ આપ્યા છે. ઘટનાસ્થળે કેટલા લોકો હાજર હતા, સિંહોને કોઈ રીતે હેરાન કરવામાં આવ્યા હતા કે નહીં અને આખરે હુમલા સુધીની પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ તે મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક સાથે રહેલા બે યુવકોની વનવિભાગે પૂછપરછ કરી છે અને તેમના મોબાઇલ ફોનનો ડેટા સુરક્ષિત કરવામાં આવ્યો છે. મોબાઇલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી વધુ તપાસ કરવામાં આવશે. ઉપરાંત મૃતકના મોબાઇલ ફોનની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
તાત્કાલિક વનવિભાગને જાણ કરવી જોઈએ
વનવિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈપણ વન્યપ્રાણીને હેરાન કરવું અથવા પજવણી કરવી ગંભીર ગુનો છે. આવી કોઈ પ્રવૃત્તિ નજરે ચડે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવી જોઈએ. નિયમોના ઉલ્લંઘન કરનાર સામે વન્યજીવ સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.