અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વિદેશમાં બંધક બન્યાની આશંકાએ ચકચાર મચાવી છે. કિરણભાઈ તેમના પત્ની વૈશાલીબેન અને બે પુત્રો સાથે લંડન જવા માટે નીકળ્યા હતા, પરંતુ હવે પરિવાર સાથેનો સંપર્ક તૂટી જતા અને ધમકીભર્યા ઓડિયો મેસેજ સામે આવતા મામલો ગંભીર બન્યો છે.
મળતી માહિતી મુજબ, અપહરણકારો દ્વારા કિરણભાઈની પુત્રી શ્રેયાને અલગ અલગ પાંચ ઓડિયો ક્લિપ મોકલવામાં આવી છે. આ ઓડિયોમાં શ્રેયાની માતા વૈશાલીબેન રડતા રડતા પૈસા ચૂકવવા માટે આજીજી કરતા સાંભળાઈ રહ્યા છે. ઓડિયો મેસેજમાં તેઓ કહી રહ્યા છે કે “મકાન વેચીને ગમે તેમ કરીને પૈસા ચૂકવો, નહીં તો અમને મારી નાખશે.”
પરિવાર સાથેનો છેલ્લો સંપર્ક ગયા અઠવાડિયે થયો હતો. તે દરમિયાન વૈશાલીબેને શ્રેયાને કહ્યું હતું કે આ તેમનો છેલ્લો ઓડિયો હોઈ શકે છે. આ ઓડિયો સામે આવ્યા બાદ પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગોમતીપુર પોલીસે તપાસ શરૂ કરી છે. ઓડિયો ક્લિપના આધારે પરિવારનું લોકેશન અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ ઘટનાએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચિંતા ફેલાઈ છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને પરિવારને સુરક્ષિત પરત લાવવા પ્રયાસ તેજ કર્યા છે.