બોટાદ (Botad) જિલ્લાના બરવાળાના રોજીદ ગામમાં જે દારૂકાંડની ઘટના બની છે અને આ ઝેરી દારૂ પીવાથી જે લોકોના ભોગ લેવાયા છે તે જોતા સાબિત થઈ ગયું છે કે દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. બોટાદની ઘટનામાં દારૂ વેચનાર અને બનાવનારની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે બરવાળાના રોજીદ (Rojid) ગામના સરપંચે પોલીસને દેશી દારૂ વેચાતો અટકાવવા વારંવાર રજૂઆત કરી હતી. ગામના સરપંચે ગામમાં અને આસપાસ ફેલાયેલા દૂષણને ડામવાની લેખિતમાં રજૂઆત કરતા પત્ર લખ્યો હતો.
બોટાદ જિલ્લાની આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માંગ્યો છે. ઝેરી દારૂ પીવાની ઘટનામાં કુલ 7ના મોત થયા છે અને 2ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. કુલ 16 વ્યક્તિઓએ દારૂ પીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને મૃતક પૈકી 2ની અંતિમ વિધિ ગઈ કાલે જ થઈ ચૂકી છે આ ઘટનામાં દારૂ વિક્રેતા અને ઉત્પાદક બંનેની ધરપકડ કરવામાં આવી છે.