ભરૂચ નજીક (Bharuch) નર્મદા નદીમાં સતત પાણીની આવક વધી રહી છે.ત્યારે ગોલ્ડન બ્રિજ (Narmada Golden Bridge) પાસે નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, જ્યારે હાલ નદીની સપાટી 25 ફૂટે પહોંચી ગઇ છે. નદીમાં વધતા પાણીના પ્રમાણને લઇ તંત્ર એલર્ટ છે. ડેમની આસપાસના વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. નર્મદાના સરદાર સરોવર (Sardsar sarovar dam) ડેમમાંથી હજુ પણ પાણી છોડવામાં આવી રહ્યુ છે. અંકલેશ્વરમાં નર્મદાની જેટી ઉપર સામાન્ય લોકો માટે પ્રવેશબંધી પણ મૂકવામાં આવી છે. જે રીતે પાણી સતત આવી રહ્યુ છે તેને લઇ તંત્ર પણ કામગીરીમાં લાગી ગયું છે.
મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 890થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.નદીની આસપાસના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્ર આશ્રય સ્થાનોમાં વધારો કરી રહી છે. કારણ કે, જો જોખમ વધે તો હજુ પણ વધુ લોકોનું સ્થળાંતર કરવું પડે તેમ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી પાણી 5 લાખ 62 હજાર ક્યુસેક પાણી છોડાયું છે જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગોરા ઘાટ ખાતે પગથિયા ડૂબી ગયા છે. ગોટરા ઘાટ પર રોજ સાંજે થતી નર્મદા મૈયાની આરતી હવે ઉપર ભારતી આશ્રમમાંથી કરવામાં આવે છે. આ સ્થળેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પણ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. 11 કરોડ રૂપિયાના ખર્ચે 131 મીટર લાંબો અને 47 પહોળો ગોરા ઘાટ અને તેના પર સાંજે થતી નર્મદા આરતી સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
મહત્વનું છે કે, મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડાયું છે.ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 7.24 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરતા નર્મદા ડેમના ડાઉન્સ્ટ્રીમના ગામો માટે સંવેદનશીલ નિર્ણય સરદાર સરોવર નર્મદા નિગમે કર્યો છે. 7.24 લાખ ક્યુસેક સામે 5.44 લાખ ક્યુસેક પાણી જ નર્મદા ડેમમાંથી છોડાશે અને વધારાનો પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં કરાશે જેથી નર્મદા,વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને પૂરની અસરોથી બચાવી શકાય. વધારાનું 1,80,000 ક્યુસેક પાણીનો સંગ્રહ કરવામાં આવનાર હોવાથી નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાશે.
Published On - 6:15 pm, Wed, 17 August 22