Bharuch : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ(Sardar Sarovar Narmada Dam) અચાનક ખુબ મોટી માત્રામાં પાણીની આવક થતા ડાઉન સ્ટ્રિમમાં 18.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ઐતિહાસિક પૂર આવ્યું હતું. ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 16 ફુટ ઉપર વહેવા લાગી હતી.
ભરૂચ – અંકલેશ્વરના મોટાભાગના નર્મદા કાંઠાના વિસ્તારોમાં પૂરના પાણી રહેણાંક વિસ્તારો, બજાર અને ખેતરોમાં ફરી વળ્યાં હતા. ભરૂચ શહેરના ધોળીકૂઈ, દાંડિયાબજાર, ફુરજા , ગાંધીબજાર અને માલીવાડ વિસ્તારના બજારોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તાર 1 માળ સુધી ડૂબી જતાં માલસામાનને ભારે નુકસાન થયું છે.
વેપારીઓને લાખો રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ જિલ્લા દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ સમસ્ત ખત્રીસમાજની વાડી ખાતે સરકારી સહાય અંગે વેપારીઓને માહિતી આપવા ભરૂચ જિલ્લા વહીવટ તત્ર અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત નગર સેવકોએ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.આ કેમ્પમાં વેપારીઓ જેમાં રેકડીધારકોને 5 હજારની સહાય તેમજ નાની સ્થાયી કેબિન ચલાવતા વેપારીઓને 20 હજારની તેમજ મોટી કેબિન ધારકોને 40 હજાર રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત મોટા વેપારીઓ માટે પણ ઓછા વ્યાજની લોન સહીત સહાય યોજના જાહેર કરાઈ છે.
સહાય મેળવવા માટે પ્રક્રિયા શું અને કેવીરીતે કરવાની છે? તે અંગે વેપારીઓને માહિતી આપવામાં આવી હતી. આ અવસરે ભરૂચ કલેકટર તુષાર સુમેરા, પ્રાંત અધિકારી યુ.એન જાડેજા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ,નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સાથે નગર સેવક સુરભી તબાકુવાળા,રાકેશ કહાર ,ચેતન રાણાએ ઉપસ્થિત રહી સરકારી સહાય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.