શક્તિપીઠ બહુચરાજી મંદિરના ભવ્ય વિકાસ માટે ફર્સ્ટ ફેઝની કામગીરી શરૂ, 80 કરોડના ખર્ચે બદલાશે ધામનું સ્વરૂપ
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના કાયાકલ્પ માટે સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યાં છેલ્લા એક વર્ષથી શાસ્ત્ર, આધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે ભવ્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ધામ આગામી દિવસોમાં બિલકુલ નવા અને ભવ્ય સ્વરૂપે જોવા મળશે. રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મંદિર પરિસરના પ્રથમ તબક્કાના ડેવલપમેન્ટનું કામ છેલ્લા એક વર્ષથી પ્રગતિમાં છે. આ કામગીરી માટે સરકાર દ્વારા અંદાજે 80 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. અત્યારે મંદિરના નિર્માણમાં પ્રાચીન શાસ્ત્રોક્ત વિધિઓ, આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીનો સુંદર સમન્વય કરવામાં આવી રહ્યો છે.
મંદિરના વહીવટદાર આશિષ મિયાત્રાના જણાવ્યા મુજબ, બીજા અને ત્રીજા ફેઝ અંતર્ગત મંદિર નજીક આવેલા બે ઐતિહાસિક તળાવોનું બ્યુટિફિકેશન અને વૉકિંગ એરિયા વિકસાવવા માટે આર્કિટેક્ટ દ્વારા સર્વે શરૂ કરી દેવાયો છે. માત્ર મંદિર જ નહીં, પરંતુ સમગ્ર પંથકના વિકાસ માટે સરકારે ‘બેચરાજી-મોઢેરા ડેવલપમેન્ટ ઓથોરિટી’ની રચના કરી છે, જેનાથી ભક્તો માટે આધુનિક સુવિધાયુક્ત વાતાવરણ ઊભું કરાશે.