આણંદની જનરલ હોસ્પિટલમાં સ્વચ્છતાના લીરે લીરા ઉડાડતા દૃશ્યો, ICUમાં કબૂતરોના માળા અને ઉંદરોના આંટાફેરા આવ્યા સામે
આણંદની જનરલ હોસ્પિટલમાં સ્વચ્છતાના ધજાગરા ઉડાડતા દૃશ્યો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલ જેવા સ્થળે સ્વચ્છતાની ખાસ કાળજી લેવાવી જોઈએ ત્યાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. આઈસીયુ જેવા વોર્ડમાં કબુતરના માળા જોવા મળી રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં ઉંદરોનો એટલી હદે ઉપદ્રવ છે કે એક વૃદ્ધ દર્દીનો પગ જ ઉંદરોએ કોતરી ખાધો છે.
આણંદની હોસ્પિટલમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. લોકો બીમાર પડે કે અકસ્માતના સંજોગોમા હોસ્પિટલમાં દાખલ થતા હોય છે કે તેઓ સ્વસ્થ થઈને પરત ફરે. પરંતુ આણંદની જનરલ હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ ચિંતા બેવડાઈ જાય છે જેનુ કારણ છે હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ.
અહીં મોટી માત્રામાં ઉંદરોનો ઉપદ્રવ છે. અહીં દાખલ દર્દીઓએ ઉંદરોના ત્રાસને કારણે રાત્રે ઉજાગરા કરવા પડે તેવી સ્થિતિ છે. બેદરકારીની હદ તો એ છે કે અહીં એક 78 વર્ષના એક દર્દીઓને ઉંદરોએ પગ કોતરી ખાધો. દર્દીઓ ઉંદરોથી બચવા આખી રાત ઉજાગરા કરે છે.
ડબલ એન્જિનની સરકાર પરંતુ આણંદની હોસ્પિટલમાં સ્વચ્છતાની નથી કોઈ ગેરંટી
આટલુ ઓછુ હોય તેમ આઈસીયુ જેવા વોર્ડમાં પણ સ્વચ્છતા જળવાતી નથી. અહીં કબુતરોએ માળા કર્યા છે. કબુતરો અહીં માળા બનાવી ગયા ત્યાં સુધી હોસ્પિટલનું તંત્ર શું કરતુ હતુ તે પણ મોટો સવાલ છે. રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે. મોદી સરકાર દ્વારા મોટાપાયે સ્વચ્છતાના અભિયાન ચલાવવામાં આવે છે અને આણંદની હોસ્પિટલમાં સ્વચ્છતાની કોઈ ગેરંટી જોવા મળતી નથી. રોગમાં સપડાયેલા દર્દી અહીં દાખલ થયા બાદ વધારે બીમાર પડે તેની ગેરંટી ચોક્કસથી મળી શકે તેમ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો