109 હેક્ટરમાં ફેલાયેલા ઐતિહાસિક ચંડોળા તળાવનો પ્રોજેક્ટ ફૂલ સ્પીડમાં, કાંકરિયા કરતા પણ વિશાળ અને આધુનિક બનશે નવું પિકનિક સ્પોટ!
ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે નવીનીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 36.38 કરોડના ખર્ચે ડિપનિંગ અને વોક-વેનું કામ પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં અહીં એમ્યુઝમેન્ટ પાર્ક, એમ્ફીથિએટર અને જંગલ જીમ જેવી આધુનિક સુવિધાઓ જોવા મળશે.
અમદાવાદનું સૌથી મોટું અને ઐતિહાસિક ગણાતું ચંડોળા તળાવ હવે તેની જૂની ઓળખ પરત મેળવવા જઈ રહ્યું છે. તળાવના કિનારેથી મોટા પાયે ડિમોલિશન થયાના એક વર્ષ બાદ, તંત્ર દ્વારા તેના નવીનીકરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આશરે 109.6 હેક્ટર વિસ્તારમાં અને 4.51 કિલોમીટરના પરિઘમાં ફેલાયેલા આ તળાવને કાંકરિયા જેવું જ ભવ્ય પ્રવાસન સ્થળ બનાવવાનું આયોજન છે.
પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે
તળાવના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ હવે અંતિમ તબક્કામાં છે, જેમાં અત્યાર સુધી અંદાજે 36.38 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. પ્રથમ તબક્કામાં મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે:
તળાવનું ડિપનિંગ (ઊંડું કરવાની પ્રક્રિયા) પૂર્ણ કરવામાં આવ્યું છે. તળાવની ફરતે પ્રોટેક્શન વોલ (બાઉન્ડ્રી વોલ) અને આકર્ષક ગુંબજો તૈયાર કરવામાં આવ્યા છે. વોર વે ફિલિંગ અને ખંભાતી કુવાની મરામતની કામગીરી પણ હાથ ધરાઈ છે.
શું હશે ખાસ આકર્ષણો?
બીજા તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં પર્યટકો અને સ્થાનિક રહીશો માટે વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવશે:
વોક-વે: તળાવની ફરતે 3.16 કિલોમીટર લાંબો આધુનિક વોક-વે બનાવવામાં આવશે.
મનોરંજન: એમ્યુઝમેન્ટ પાર્ક, એમ્ફીથિએટર અને બાળકો માટે ખાસ ગેમ ઝોન.
ફિટનેસ અને આરામ: જંગલ જીમ, ગાર્ડન અને સિનિયર સિટિઝન પાર્કનું નિર્માણ થશે.
એન્ટ્રી ગેટ: તળાવમાં પ્રવેશવા માટે ચારેય દિશામાં ભવ્ય ગેટ બનાવવામાં આવશે.
ચંડોળા તળાવનો વિકાસ એવી રીતે કરવામાં આવી રહ્યો છે કે તે કાંકરિયા તળાવ કરતા પણ વિશાળ અને આકર્ષક બનીને ઉભરશે. આગામી સમયમાં આ સ્થળ અમદાવાદના પ્રવાસન નકશા પર એક નવું ઘરેણું સાબિત થશે.