Ahmedabad: 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જજ કોરોના સંક્રમિત, સુનાવણીની તારીખ લંબાવાઈ

|

Feb 02, 2022 | 7:26 AM

વર્ષ 2008માં અમદાવાદ અને સુરતમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. અમદાવાદમાં 20 સ્થળોએ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 244 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.

અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial blast case)માં સુનાવણીની તારીખ લંબાઇ છે. સ્પેશિયલ કોર્ટ (Special Court)ના જજ એ.આર.પટેલ (Judge AR Patel) કોરોના સંક્રમિત હોવાથી આ ચુકાદા માટેની સુનાવણી (Hearing) ટળી ગઈ છે. જેથી હવે આ સુનાવણી આગામી 8મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી ઘણા સમયથી સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર આ કેસની સુનાવણી લંબાઇ છે. જો કે આ વખતે સુનાવણી લંબાવાનું કારણ જજ પોતે છે. જજ કોરોના સંક્રમિત હોવાથી કેસની સુનાવણી થઇ શકી નથી. આ મામલે કુલ 78 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો અને એક આરોપી સાક્ષી બન્યો હતો. ત્યારે હવે જજમેન્ટ અગાઉ સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવશે એવું પબ્લિક પ્રોસિક્યુટરે જણાવ્યું હતું.

2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્લીની જેલમાં બંધ છે. જ્યારે આરોપી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે. સમગ્ર કેસમાં સુરતમાં 15 અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ છે. તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો છે. આ કેસમાં દરેક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ 4,700 પાનાનું થાય છે.

મહત્વનું છે કે વર્ષ 2008માં અમદાવાદ અને સુરતમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. અમદાવાદમાં 20 સ્થળોએ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 244 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 1 હજાર 163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે.. તેમજ 1 હજાર 237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા છે.

આ પણ વાંચો-

Winter 2022: રાજ્યમાં ફરી એક વાર અનુભવાશે ઠંડીનો ચમકારો, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

આ પણ વાંચો-

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલ 19 PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

Next Video