અમદાવાદમાં દીપડાથી ફફડાટ, સાણંદના કાણેટી સુધી શોધખોળ, કર્ણાવતી ક્લબ પાસે દેખાયાની વાત અફવા
ઘુમાની શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયા બાદ વન વિભાગનું સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ છે. કર્ણાવતી ક્લબ પાસે દીપડો દેખાયાની વાત તપાસ બાદ અફવા સાબિત થઈ છે.
અમદાવાદના ઘુમા ગામમાં આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટના સામે આવતાં જ સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મેયર અને અન્ય અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થાનિકો પાસેથી માહિતી મેળવી હતી.
દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગની ટીમો સતત કામે લાગી હતી. ઘુમા અને શેલા વિસ્તારમાં આખી રાત થર્મલ ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવા છતાં બીજા દિવસે પણ દીપડો વન વિભાગના હાથે લાગ્યો નથી. હવે તપાસનો ધમધમાટ કાણેટી ગામની આજુબાજુના વિસ્તારો સુધી લંબાવવામાં આવ્યો હતો.
બીજી તરફ, એસ.જી. હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબ નજીક કેફેની પાછળ દીપડો દેખાયો હોવાની ચર્ચા જાગી હતી. જોકે વન વિભાગની તપાસ દરમિયાન ત્યાં મળેલા પગના નિશાન શ્વાનના હોવાનું સ્પષ્ટ થતાં આ વાત માત્ર અફવા સાબિત થઈ છે. આમ છતાં, સતર્કતાના ભાગરૂપે વન વિભાગે ત્યાં પણ પાંજરું મૂક્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેત રહેવા અપીલ કરી છે.