Ahmedabad: કોંગ્રેસ એનસીપીના ગઠબંધનને લઈને અસંમજસની સ્થિતિ યથાવત, કોંગ્રેસ કાર્યકરોમાં ભારોભાર રોષ

|

Nov 14, 2022 | 9:59 PM

Gujarat Election 2022: કોંગ્રેસ એનસીપી ગઠબંધનને લઈને હજુ પણ કોકડુ ગૂંચવાયેલુ છે. એનસીપી સાથે ત્રણ બેઠકો પર ગઠબંધનને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધ જોવા મળ્યો છે. કોંગ્રેસના હોદ્દેદારોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે આવી ગઠબંધનને લઈને રોષ વ્યક્ત કર્યો અને 12 કલાકમાં નિર્ણય લેવા ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને લઈને હજુ પણ ક્યાંક અસંમજસની સ્થિતિ બનેલી છે. આણંદની ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ એનસીપીના ગઠબંધનને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. કાર્યકારી અધ્યક્ષ સાથે ઉમરેઠ બેઠકના આગેવાનોએ બેઠક યોજી હતી. જેમાં હોદ્દેદારોએ પ્રદેશ કોંગ્રેસ સમિતિને ગઠબંધન તોડવા માટેનું અલ્ટીમેટમ આપ્યુ છે. 12 કલાકમાં ગઠબંધન તોડવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. 12 કલાકમાં જો આ ગઠબંધન નહીં તોડવામાં આવે તો તમામ હોદ્દેદારોએ રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. એનસીપીએ ઉમરેઠથી જયંત બોસ્કી, નરોડાથી નિકુલસિંહ તોમર, દેવગઢબારિયાથી નગરસિંહ પસાયા એનસીપીના ઉમેદવાર છે. આ ત્રણ બેઠક પર કોંગ્રેસ એનસીપી વચ્ચે સહમતી સધાઈ હતી.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022:  NCPને 3 બેઠકો આપવા સહમતી

આણંદની ઉમરેઠ, દાહોદની દેવગઢબારિયા, અને અમદાવાદની નરોડા બેઠક પર એનસીપી તેમના ઉમેદવારોને ઉભા રાખશે અને કોંગ્રેસ તેમના ઉમેદવારો નહીં ઉતારે તેવી સહમતીને કારણે સ્થાનિક કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળ્યો છે. ઉમરેઠના તમામ કાર્યકર્તાઓ, જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસના અગ્રણીઓ અને સંગઠનના હોદ્દેદારો સહિતના તમામ કાર્યકરો બે બસ ભરીને પ્રદેશ કાર્યાલયે પહોંચ્યા હતા. તેમનો આક્ષેપ છે કે ભૂતકાળમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને તેમના મતની જરૂર હતી, ત્યારે મત આપ્યો ન હતો. આ પ્રકારના લોકો સાથે ફરી એકવાર ગઠબંધન ન કરવુ જોઈએ, એ ગઠબંધન કરવાથી કોંગ્રેસને નુકસાન જશે.

આ બાબતની માગણીને લઈને પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે પણ બેઠક કરવામાં આવી હતી. જેની અંદર પણ એ બાબત તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે જો આગામી 12 કલાકમાં NCP સાથેનુ ગઠબંધનને લઈને કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આ તમામ કાર્યકર્તાઓ આગામી સમયમાં રાજીનામુ ધરી દેશે.

Next Video