અમદાવાદના નાગરિકો પર સફાઈના નામે વધી શકે છે ટેક્સ, જાણો નાગરિકો પર કેટલો બોજ વધી શકે

|

Jan 25, 2022 | 6:55 AM

હવે કોર્પોરેશનની સ્થિતિ આર્થિક રીતે નબળી છે અને કેવી રીતે આવક વધારવી તે જ બાબત પર કોર્પોરેશનના સત્તાધીશોની નજર હોય તેવુ લાગી રહ્યુ છે.

કોરોનાકાળમાં બેફામ અઢળક ખર્ચા કર્યા પછી હવે અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) આવક વધારવા માટે હવાતિયાં મારી રહ્યું છે. અમદાવાદના નાગરિકો પર સફાઈના નામે ટેક્સ (Tax) વધારવાનો નિર્ણય ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee)માં લેવાઈ શકે તેવી માહિતી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે મળતી હોય છે. જેમાં આ ગુરુવારની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પર સૌ કોઈની નજર રહેશે. કારણકે આખા વર્ષ દરમિયાન નાગરિકો જે ટેક્સ ભરે છે, તેમાં વધારો થવાની શક્યતા છે. રહેણાંક એકમોમાં પ્રતિદિન 3 રૂપિયા અને બિન રહેણાક એકમોમાં રૂપિયા 5 વસૂલવા માટેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા થઈ રહી છે. આ માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો કે આ બાબતમાં મંજુરીની મહોર સ્ટેન્ડિંગ કમિટી જ મારશે.

અગાઉ રહેણાંક એકમોમાં પ્રતિદિન 1 રૂપિયો ટેક્સ વસૂલાતો હતો અને બિન રહેણાંક એકમો પર પ્રતિદિન 2 રૂપિયા ટેક્સ વસૂલાતો હતો. ત્યારે હવે દરખાસ્તમાં કેટલોક ઘટાડો કરીને એટલે કે ત્રણ રૂપિયાના સ્થાને 2 રૂપિયા અને 5 રૂપિયાના સ્થાને 3 રૂપિયા મંજુર કરીને પણ સ્ટેન્ડિંગ કમિટી ટેક્સમાં વધારાના નિર્ણયને મંજુરી આપી શકે છે.

મહત્વનું છે કે કોરોનાના સમયમાં મહાનગરપાલિકા દ્વારા બેફામ રીતે કેટલાક ખર્ચા થયેલા છે. જો કે તેમાંથી કેટલાક ખર્ચ જરુરી પણ હતા. પરંતુ આ ખર્ચાને કારણે હવે કોર્પોરેશનની સ્થિતિ આર્થિક રીતે નબળી છે અને કેવી રીતે આવક વધારવી તે જ બાબત પર કોર્પોરેશનના સત્તાધીશોની નજર હોય તેવુ લાગી રહ્યુ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં હવે વર્ષ પૂર્ણ થવા આવ્યુ છે, ત્યારે સફાઇના નામે વધુ ટેક્સ વસુલવા માટેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાઇ શકે છે. જો કે આ નિર્ણયને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી મળે છે કે કેમ તે જોવુ રહ્યુ.

આ પણ વાંચો- ખેડા : ગુજરાતના 10 હજાર ગામોમાં રમત ગમતના મેદાનો અને પુસ્તકાલયોને વિકસાવવાનું કામ કરાશે : કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ

આ પણ વાંચો-Ahmedabad : પત્નીએ જ પીજી ચલાવતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, આડા સંબંધોનો આક્ષેપ

Next Video