સૌરાષ્ટ્રમાં જામનગર (Jamnagar Latest News) અને દ્વારકા બાદ હવે ખંભાળિયામાં પણ લમ્પી વાયરસના કેસ સામે આવતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. જામનગરમાં લમ્પી વાયરસના 211 કેસ નોંધાયા છે. જ્યારે એક ગાયનું વાયરસથી મોત થયું છે. તો 2342 ગાયને રસી આપવામાં આવી છે. દ્વારકામાં 285 ગાય બાદ હવે ખંભાળિયામાં પણ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યાં છે.
આ વાયરસ સૌરાષ્ટ્રમાં ધીરે-ધીરે પ્રસરી રહ્યો છે. ત્યારે સેવાકીય સંસ્થાઓ અને ગૌ-પ્રેમીઓ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ આરોગ્ય તંત્ર કોઈ રોગચાળો ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય તંત્રના સબ સલામતના અભિગમથી પશુપાલકોની વધી ચિંતા છે. લમ્પી વાયરસ વધુ ન પ્રસરે તે માટે તંત્ર તાત્કાલિક પગલા લે તેવી પશુપાલકોની માગ છે.
લમ્પી વાયરસના લક્ષણો પર નજર કરીએ તો પશુના શરીર પર મોટા ફોડલા થવા લાગે છે. આ ઉપરાંત તાવ અને પગમાં સોજા આવેલી ગયેલા દેખાય છે. પશુઓ ખોરાક લઈ શકતા નથી અને નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવા લાગે છે. આ ઉપરાંત પશુ લાંબા સમય સુધી સ્થિર ઉભું રહેલું જોવા મળે છે. આ તમામ લક્ષણો શરૂઆતમાં ભલે જીવલેણ ન હોય પરંતુ ચારથી પાંચ દિવસ સુધીમાં યોગ્ય સારવાર ન મળે તો લમ્પી વાયરસ જીવ લઈ શકે છે.