અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની અસર.. શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતાં રોકાણકારો શેરબજાર છોડીને સુરક્ષિત વિકલ્પ તરીકે સોનામાં રોકાણ વધારી રહ્યા છે. પરિણામે સોનાના ભાવમાં તેજી આવી છે અને ચાંદી પણ ઝડપથી મોંઘી થઈ છે.
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર વૈશ્વિક બજારો પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. 2 માર્ચના રોજ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો, કારણ કે ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવના કારણે ભારતીય બજાર પણ પ્રભાવિત થયું છે.
યુદ્ધ જેવી સ્થિતિમાં સામાન્ય રીતે મોંઘવારી વધવાનો ખતરો રહે છે. કાચા તેલના ભાવમાં વધારો, આયાત ખર્ચમાં વૃદ્ધિ અને ચલણમાં અસ્થિરતા જેવી પરિસ્થિતિઓ બજાર પર દબાણ ઉભું કરે છે. પરિણામે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ઓળખાતા સોનાં અને ચાંદી તરફ વળતા જોવા મળે છે.
બજાર MCX પર સોનાના ભાવમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો હતો. સોનું 5 હજાર રૂપિયા વધી 1.67 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં 10 હજાર રૂપિયાનો વધારો નોંધાઈ 2.92 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. આ વધારો દર્શાવે છે કે અનિશ્ચિતતાના સમયમાં કિંમતી ધાતુઓમાં માંગ વધી રહી છે.
બજાર વિશેષજ્ઞોના મતે જો અમેરિકા-ઈરાન તણાવ વધુ વિકટ બને અથવા યુદ્ધ લાંબા સમય સુધી ચાલે, તો સોનાના ભાવ 1.90 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી અને ચાંદી 3.5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. આ અંદાજો હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.
સામાન્ય રીતે જ્યારે શેરબજારમાં ઘટાડો થાય છે ત્યારે રોકાણકારો પોતાનું મૂડીરોકાણ ઓછું કરી સુરક્ષિત વિકલ્પો પસંદ કરે છે. ગોલ્ડમાં રોકાણ વધવાનું મુખ્ય કારણ એ છે કે તે અનિશ્ચિત સમયગાળામાં મૂડીને સુરક્ષિત રાખવાનો વિકલ્પ માનવામાં આવે છે. જો વૈશ્વિક તણાવ યથાવત્ રહેશે, તો આવનારા દિવસોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો