કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી સાથે રાજ્યની વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા બેઠકો માટે મતદાન યોજાશે. ગુજરાતમાં વિધાનસભાની કુલ છ બેઠકો ખાલી છે, પરંતુ ચૂંટણી પંચે જૂનાગઢની વિસાવદર બેઠક સિવાયની પાંચ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરી છે. આ બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે.
પંચના જણાવ્યા અનુસાર, નોમિનેશન પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારોના નામાંકન પત્રોની ચકાસણી 20 એપ્રિલે હાથ ધરવામાં આવશે. આ પછી 22મી એપ્રિલે ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ પછી, લોકસભા ચૂંટણીની સાથે 7 મેના રોજ આ પાંચ બેઠકો માટે મતદાન થશે. લોકસભા ચૂંટણીની સાથે 4 જૂને મતગણતરી થશે. ગુજરાતની આ વિધાનસભા બેઠકો ધારાસભ્યોના રાજીનામાના કારણે ખાલી પડી છે.
જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી નથી. તેની પાછળનું કારણ એ છે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આ સીટ જીતી હતી. આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
આવી સ્થિતિમાં કોર્ટે વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી નથી, જોકે AAPમાંથી જીતેલા ભૂપત ભાયાણી હવે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના રાજીનામાને કારણે રાજ્યમાં ચાર બેઠકો, AAPની 1 અને અપક્ષની 1 બેઠક ખાલી પડી છે.
આ પણ વાંચો: Lok Sabha Election 2024 Opinion Poll: PM મોદીના રાજ્યનો શું કહે છે ઓપિનિયન પોલ ? કોણ કેટલી સીટ પર મારશે બાજી