Breaking News: ગુજરાતીઓને ‘અભણ’ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું, CM અને ડેપ્યુટી CMએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ માત્ર 6 કરોડ ગુજરાતીઓનું નહીં પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવી ત્યારે તેમના માટે વપરાયેલ શબ્દો અપમાન જનક છે.
કેરલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાય ગયુ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહાને ગુજરાતીઓને અશિક્ષિત અને મૂર્ખ કહીને તેમનું અપમાન કર્યું છે. ખડગેએ કહ્યું કે મોદીજી ગુજરાતની અશિક્ષિત જનતાને તો મૂર્ખ બનાવી શકે છે, પરંતુ કેરલના સમજુ અને જાગૃત લોકોને કદાચ મૂર્ખ નહીં બનાવી શકે.
આ નિવેદન સામે ગુજરાતમાં તીવ્ર નારાજગી વ્યક્ત થઈ રહી છે અને ભાજપે કોંગ્રેસ પર ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખે પણ નિવેદનને વખોડી કાઢ્યું છે.
ખડગેના નિવેદન પર ગુજરાત CMની પ્રતિક્રિયા
કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ માત્ર 6 કરોડ ગુજરાતીઓનું નહીં પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવી ત્યારે તેમના માટે વપરાયેલ શબ્દો અપમાન જનક છે. આ સાથે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે M મોદીથી કોંગ્રેસ હવે અસહજ થઈ ગઈ છે આથી આવા નિવેદનો આપી રહી છે અને ગુજરાતની જનતા આવા નિવેદનનો શું જવાબ આપવો તો જાણે છે.
6 કરોડ ગુજરાતીઓનું અપમાન કેમ?: હર્ષ સંઘવી
આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર DyCM હર્ષ સંઘવીએ પણ પ્રહાર કર્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓનું અપમાન કેમ? “ગુજરાતવાસીઓએ તમને સત્તાથી બહાર કર્યા, એટલે આવો બદલો?” આ નિવેદન તમારી હતાશા નહીં, તમારી ઔકાત બતાવે છે. કોંગ્રેસને ગુજરાતની જાગૃત જનતાએ હંમેશા નકારી છે આગળ પણ નકારશે, અને ગુજરાત માફ નહીં કરે તેમ કહ્યું હતુ.
ગુજરાતીઓ પ્રત્યે કોંગ્રેસના મનમાં ઈર્ષા
ખડગેના આ નિવેદન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગુજરાતીઓ પ્રત્યે કોંગ્રેસને આટલી ઈર્ષ્યા કેમ છે? ગુજરાતને જ વારંવાર કેમ ટાર્ગેટ કરાય છે? આ સાથે જગદીશ વિશ્વકર્માએ ખડગેના નિવેદનને ગુજરાતીઓ પ્રત્યેનું અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાને અભણ અનેમૂર્ખ સમજનારી કોંગ્રેસ માફી માગે અને જો માફી નહીં માગે તો ગુજરાતની જનતા જવાબ જરુર આપશે.