મધ્યપૂર્વમાં વધતી તંગદિલી અને ઈરાન-ઇઝરાઇલ-ઇરાક યુદ્ધની પરિસ્થિતિના પગલે દુબઈ જતી અને આવતી અનેક ફ્લાઇટો રદ થતા સુરતનો ઝરીવાલા પરિવાર દુબઈમાં ફસાઈ ગયો છે. મળતી માહિતી મુજબ પરિવારના લોકો દુબઈ ફરવા ગયા હતા. જે બાદ યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા અનેક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. જેના લીધે આ પરિવારના લોકોને ભારત પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ પુરતા હોટલમાં રહેવા મજબૂર બન્યા છે.
મળતી માહિતી મુજબ દુબઈમાં ગુજરાતના આશરે 32 થી 50 જેટલા મુસાફરો અટવાઈ ગયા છે. સુરત અને અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાંથી ફરવા ગયેલા આ મુસાફરો હાલ દુબઈની હોટલોમાં રોકાયેલા છે. હાલ તેઓ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે, પરંતુ વતન પરત ફરવા અંગે અસમંજસની સ્થિતિ છે.
અટવાયેલા મુસાફરોએ TV9 Gujarati સાથે વીડિયો કોલ દ્વારા ખાસ વાતચીત કરી હતી. મુસાફરોએ જણાવ્યું કે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ફ્લાઇટો અચાનક રદ થઈ ગઈ હતી અને ફરી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર મેસેજ મળ્યો નથી. શહેરમાં કેટલાક વિસ્તારોમાં સુમસામ માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, દુબઈનું ડિફેન્સ સિસ્ટમ મજબૂત હોવાથી મિસાઈલ અને ડ્રોન હુમલાઓને હવામાં જ નિષ્ક્રિય કરવામાં આવે છે, તેવી માહિતી પણ મુસાફરોએ આપી છે.
મુસાફરોના જણાવ્યા મુજબ, તેઓ સતત પોતાના પરિવાર સાથે સંપર્કમાં છે અને હાલ હોટલમાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકાર ભાડા અંગે સહાય કરશે તેવી ચર્ચા સાંભળવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત અથવા દુબઈ સરકાર તરફથી સીધો સંપર્ક થયો નથી.
દુબઈમાં રહેલા તમામ ગુજરાતીઓ અને અન્ય ભારતીય મુસાફરો સુરક્ષિત છે, પરંતુ તેઓ ક્યારે ઘરે પરત ફરી શકશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે. પરિસ્થિતિ સામાન્ય બનતા જ ફ્લાઇટ સેવા પુનઃ શરૂ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Published On - 3:29 pm, Mon, 2 March 26