તમારી સવારની ચામાં ઝેર તો નથી ને? હૈદરાબાદમાં નકલી ચા પત્તીના મોટા કૌભાંડનો પર્દાફાશ, 3000 કિલો જથ્થો જપ્ત

| Updated on: Apr 25, 2026 | 8:41 PM

એક્સપાયર થયેલી ચામાં ગોળનું પાણી અને સિન્થેટિક રંગોની ભેળસેળ; રોડ સાઈડના સ્ટોલ પર ઓછી કિંમતે વેચાતું હતું આ 'સ્લો પોઈઝન', પોલીસ દ્વારા 10ની ધરપકડ,

હૈદરાબાદમાં ખાદ્ય સુરક્ષા ટીમે એક ચિંતાજનક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નફાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે કાર્યવાહી કરી હૈદરાબાદ ફૂડ એડાલ્ટરેશન સર્વેલન્સ ટીમ (H-FAST) એ 15 અલગ-અલગ ગોડાઉનો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 3 હજાર કિલોગ્રામ ભેળસેળયુક્ત ચા-પત્તી જપ્ત કરવામાં આવી છે અને આ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેવી રીતે થતી હતી ભેળસેળ?

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ભેળસેળિયા તત્વો એક્સપાયર થઈ ગયેલી ચા-પત્તીમાં સિન્થેટિક રંગો અને ગોળનું પાણી ભેળવીને તેને ફરીથી તાજી જેવી બનાવતા હતા. દરોડા દરમિયાન 1,500 કિલો એક્સપાયર ચા, કૃત્રિમ રંગો અને 100 કિલો ગોળનો જથ્થો પણ મળી આવ્યો છે. આ નકલી ચા ખાસ કરીને શહેરના નાના સ્ટોલ અને રસ્તાની બાજુના વિક્રેતાઓને ઓછી કિંમતે વેચવામાં આવતી હતી.

સ્વાસ્થ્ય માટે જોખમી

અધિકારીઓએ ચેતવણી આપી છે કે આવી સિન્થેટિક રંગોવાળી ચા પીવાથી જઠરની ગંભીર બીમારીઓ, એલર્જી અને લાંબા ગાળે કેન્સર જેવી જટિલ સમસ્યાઓ થઈ શકે છે.

ઘરે બેઠા આ રીતે ઓળખો નકલી ચા:

અધિકારીઓએ નકલી ચા ઓળખવા માટે એક સરળ ડેમો આપ્યો છે:

નકલી ચા: જો ઠંડા પાણીમાં ચા પાવડર નાખતાની સાથે જ તરત રંગ છૂટવા લાગે, તો સમજી લેવું કે તેમાં ભેળસેળ છે.

અસલી ચા: અસલી ચા પત્તી માત્ર ગરમ પાણીમાં જ ધીમે-ધીમે પોતાનો કુદરતી રંગ છોડે છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે હંમેશા વિશ્વસનીય બ્રાન્ડની પેક કરેલી ચા જ ખરીદવી અને પેકેટ પર ઉત્પાદન તેમજ સમાપ્તિ (Expiry) તારીખ ચોક્કસ ચેક કરવી.

રાજપથ-કર્ણાવતી ક્લબની બમ્પર ઓફર, મતદાન કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ, જાણો શરતો

Follow Us