તાજેતરમાં જ એવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં દુલ્હન અનેક પ્રકારના કારણોસર લગ્ન કરવાનો ઇનકાર કરી રહી છે. એવા પણ કિસ્સા સામે આવ્યો છે જેમાં દુલ્હને (Bride) દુલ્હાને લગ્ન માટે ના પાડી દીધી હોય કારણ કે દુલ્હા નશામાં હોય અથવા તો ટાલ હોય. પરંતુ અહીં કિસ્સો અલગ છે જેમાં દુલ્હનએ લગ્ન કરવાની ના પાડી છે પણ કારણ અલગ છે જેમાં વરરાજા ફોટોગ્રાફર (Photographer) ને સાથે લાવવાનું ભૂલી ગયો હતો. આવો કિસ્સો તમે ભાગ્યે જ જોયો અથવા સાંભળ્યો હશે કે કોઈ આ કારણે પણ લગ્નની ના પાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે કાનપુર ગ્રામ્ય વિસ્તારના મંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા એક ખેડૂતની પુત્રીના લગ્ન ભોગનીપુરમાં રહેતા એક વ્યક્તિ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જાનના આગમન સમયે ‘જયમાલ’ સમારોહની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને લગ્નના મંડપને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. જો કે, જ્યારે દુલ્હનને ખબર પડી કે યાદગાર પળોને કેપ્ચર કરવા માટે કોઈ ફોટોગ્રાફર નથી, ત્યારે તેણે મંડપમાં આવવાની ના પાડી દીધી. બાદમાં તે સ્ટેજ છોડીને પાડોશીના ઘરે ચાલી ગઈ હતી.
બધાએ દુલ્હનને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તેણે કહ્યું, “જે વ્યક્તિએ આજે અમારા લગ્નની પરવા નથી કરી, તે ભવિષ્યમાં મારી સંભાળ કેવી રીતે રાખશે?” પરિવારના વડીલોએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તે પછી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં બંને પક્ષો પરસ્પર સંમતિથી પૈસા અને કિંમતી વસ્તુઓ પરત કરવા સંમત થયા.
મંગલપુર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ડોરી લાલે કહ્યું કે આ મામલો પરસ્પર સહમતિથી ઉકેલી લેવામાં આવ્યો છે. “બંને પક્ષોએ એકબીજાને આપેલ સામાન અને રોકડ પરત કરી. આ પછી વરરાજા દુલ્હન વગર પોતાના ઘર માટે રવાના થઈ ગયો હતો.” તેણે કહ્યું, “ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર વચ્ચે ઝઘડો થયો હતો, જે વર પક્ષ દ્વારા મેનેજ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે છોકરી ગુસ્સે થઈ ગઈ અને તેણે લગ્ન કરવાની ના પાડી.”
Published On - 1:35 pm, Mon, 30 May 22