Fact Check : દૂધમાં ભેળસેળથી 2035 સુધીમાં 87% ભારતીયોને કેન્સર થવાનો દાવો કેટલો સાચો, જુઓ Video

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો કે 2035 સુધીમાં ભારતમાં 87% લોકોને કેન્સર થશે અને દૂધમાં ભેળસેળ તેનું કારણ છે, જોકે આ અંગે સત્યતા શું છે તે અંગે જાણવું ખૂબ જરૂરી છે.

Fact Check : દૂધમાં ભેળસેળથી 2035 સુધીમાં 87% ભારતીયોને કેન્સર થવાનો દાવો કેટલો સાચો, જુઓ Video
| Updated on: Aug 04, 2026 | 10:43 PM

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલો એક દાવો લાખો ભારતીયોમાં ચિંતા જગાવી રહ્યો છે. આ દાવો મુજબ, વર્ષ 2035 સુધીમાં ભારતમાં 87% વસ્તી કેન્સરથી પીડિત થઈ જશે. આ ભયાવહ દાવા સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના નામે એક નકલી આર્ટિકલ અને સમાચારપત્રની કટિંગ પણ શેર કરવામાં આવી રહી છે, જેમાં દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળને કેન્સર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ શું ખરેખર WHOએ આવી કોઈ ચેતવણી આપી છે? TV9 ગુજરાતીની ફેક્ટ ચેક ટીમે આ વાયરલ દાવાની ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવ્યું છે.

વાયરલ દાવો અને તેનું મૂળ

આ વાયરલ દાવાને સમર્થન આપતા એક સોશિયલ મીડિયા યુઝરે ‘એક્સ’ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું છે કે, WHOએ ચેતવણી આપી છે કે જો દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદનોમાં ભેળસેળ પર તાત્કાલિક રોક નહીં લગાવવામાં આવે તો વર્ષ 2035 સુધી ભારતમાં 87% વસ્તી કેન્સરથી પીડિત થઈ જશે. આ સાથે જ, એક સમાચારપત્રની કટિંગ જેવી દેખાતી તસવીર પણ શેર થઈ રહી છે, જેના પર “દૂધ નહીં ઝેર પી રહ્યું છે ભારત. ઉત્પાદન 14 કરોડ લીટર જ્યારે વપરાશ 64 કરોડ લીટર” શીર્ષક લખેલું છે. આ દાવાઓ ભારતમાં દૂધમાં ભેળસેળને કારણે કેન્સરના વ્યાપક ફેલાવા સાથે સીધા જોડે છે, જે ગ્રાહકોમાં ભય અને મૂંઝવણ પેદા કરી રહ્યા છે.

ફેક્ટ-ચેકિંગ પ્રક્રિયા અને તારણો

TV9 ગુજરાતીની ફેક્ટ ચેક ટીમે આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.
સૌ પ્રથમ, અમારી ટીમે WHOની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધી અને ત્યાં આવા કોઈ નિવેદન, રિપોર્ટ અથવા ચેતવણીની શોધ કરી. તપાસમાં WHOની વેબસાઇટ પર આવો કોઈ દાવો મળ્યો નહીં. ઉલટાનું, WHOના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સ્પષ્ટીકરણ (clarification) જોવા મળ્યું, જેમાં આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવવામાં આવ્યો હતો.

વધુ તપાસમાં, સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા નકલી આર્ટીકલમાં પ્રકાશન વર્ષ 2035 દર્શાવવામાં આવ્યું હતું, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક બનાવટી દસ્તાવેજ છે. એટલે કે, સોશિયલ મીડિયા પર ફરતી આ કટિંગ સંપૂર્ણપણે નકલી છે.

આ ઉપરાંત, ટીમે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના સત્તાવાર ‘એક્સ’ હેન્ડલ પર પણ ધ્યાન આપ્યું. PIB ફેક્ટ ચેકે પણ આ વાયરલ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. PIB, ભારત સરકારના સત્તાવાર તથ્ય-તપાસ યુનિટ તરીકે, આવી ભ્રામક માહિતીને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જૂની અફવાનું પુનરુત્થાન

તપાસમાં વધુ એક મહત્વની વાત સામે આવી. આ પ્રકારનો દાવો નવો નથી. શૈલેન્દ્ર ભદોરિયા નામના એક સોશિયલ મીડિયા યુઝરે ૨૦ ઓગસ્ટ, 2019 ના રોજ પણ લગભગ આવો જ દાવો શેર કર્યો હતો. આ દર્શાવે છે કે આ એક વર્ષો જૂની અફવા છે જે સમયાંતરે ફરીથી વાયરલ થતી રહે છે. આવી જૂની અને ભ્રામક માહિતીને વારંવાર શેર કરીને લોકોમાં ખોટી ધારણાઓ ફેલાવવામાં આવે છે.

TV9 ગુજરાતીની ફેક્ટ ચેક ટીમની તપાસમાં સ્પષ્ટ થયું છે કે “2035  સુધી ભારતમાં 87% લોકો કેન્સરથી પીડાશે” અને દૂધમાં ભેળસેળ તેનું મુખ્ય કારણ છે, તે દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આવું કોઈ નિવેદન કે ચેતવણી જાહેર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક માહિતી પર વિશ્વાસ ન કરવો. કોઈ પણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા તપાસવી અત્યંત આવશ્યક છે, જેથી ખોટી માહિતીનો ફેલાવો અટકાવી શકાય અને સમાજમાં ભય અને ગેરસમજણ દૂર કરી શકાય.

CJP પ્રોટેસ્ટમાં PM મોદીને ગાળો આપનાર યુવતીને પરિવારજનોએ જ માર માર્યો?

Published On - 10:41 pm, Tue, 4 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.