
આ વર્ષના જાન્યુઆરીથી શરૂ થયેલા 12 અઠવાડિયાના સમયગાળામાં, વોટ્સએપે ભારતમાં ડિજિટલ અરેસ્ટ કૌભાંડ સાથે જોડાયેલા 9400 થી પણ વધુના વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. Metaની માલિકીની વોટ્સએપે સરકારી એજન્સીઓ સાથે મળીને આ કાર્યવાહી કરી છે. ડિજિટલ અરેસ્ટ કૌભાંડ સંબંધિત કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ આ માહિતી આપી હતી.
વોટ્સએપની તપાસમાં જાણવા મળ્યું કે આ કૌભાંડો કેવી રીતે કામ કરે છે. કંપનીએ શોધ્યું કે ભારતીય યુઝર્સને નિશાન બનાવતા મોટાભાગના એકાઉન્ટ્સ દક્ષિણ-પૂર્વ એશિયા, ખાસ કરીને કમ્બોડિયામાં સ્થિત સ્કેમ સેન્ટર્સમાંથી સંચાલિત થઈ રહ્યા હતા. આનો અર્થ એ છે કે ભારતમાં આચરવામાં આવી રહેલ ડિજિટલ અરેસ્ટ કૌભાંડનો જાળ કમ્બોડિયામાંથી વોટ્સએપ એકાઉન્ટ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો.
છેતરપિંડી કરનારાઓ ઘણીવાર દિલ્હી પોલીસ, મુંબઈ મુખ્યાલય, સીબીઆઈ અને એટીએસ વિભાગ જેવા ડિસ્પ્લે નામો તેમજ સત્તાવાર દેખાતા લોગોનો પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરતા હતા. જેનાથી લોકોને શંકા ન થાય. કંપનીએ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓનો સામનો કરવા માટે નવા અમલીકરણ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વોટ્સએપ એ જણાવ્યું હતું કે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી મળેલી માહિતીના આધારે શરૂ કરાયેલી ચોક્કસ તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં I4C દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટ અનુસાર વોટ્સએપ એ, સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ (SIM) બંધન લાગુ કરવા માટે પણ સંમત થયું છે. કંપનીએ કહ્યું કે તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 ની જોગવાઈઓનું પાલન કરશે. વોટ્સએપ એ કાનૂની અને ગોપનીયતા સીમાઓમાં રહીને નિયમિત અંતરાલે ડેટા-સંબંધિત માહિતી શેર કરવાનું પણ વચન આપ્યું છે.