UPI કરતાં પણ સરળ સિસ્ટમ લાવવા જઈ રહી છે RBI, મોબાઈલ નેટવર્ક વગર પણ મોકલી શકાશે પૈસા, પરંતુ દરેકને નહીં મળે સુવિધા
આરબીઆઈનું કહેવું છે કે લાઇટવેઇટ પેમેન્ટ સિસ્ટમ આ તકનીકો પર નિર્ભર રહેશે નહીં, એટલે કે મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ ન હોવા છતાં પણ આ સિસ્ટમ દ્વારા પૈસા મોકલી શકાય છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)લાઇટવેઇટ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ પર કામ કરી રહી છે. આ સિસ્ટમ કુદરતી આફત અથવા હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં ન્યૂનતમ સંસાધનો સાથે કામ કરશે અને યુઝર્સને નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે. હાલમાં આરબીઆઈએ સ્પષ્ટ કર્યું નથી કે આ સિસ્ટમ ક્યારે શરૂ થશે.
આપને જણાવી દઈએ કે પૈસા મોકલવા માટે હાલ જે વિકલ્પો ઉપલબ્ધ છે, તે UPI હોય, NEFT હોય કે RTGS હોય, તે બધા ઈન્ટરનેટ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની મદદથી કામ કરે છે. આરબીઆઈનું કહેવું છે કે લાઇટવેઇટ પેમેન્ટ સિસ્ટમ આ તકનીકો પર નિર્ભર રહેશે નહીં, એટલે કે મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ ન હોવા છતાં પણ આ સિસ્ટમ દ્વારા પૈસા મોકલી શકાય છે.
આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં લાઇટવેઇટ સિસ્ટમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
આરબીઆઈએ 30 મેના રોજ વર્ષ 2022-23 માટે તેનો વાર્ષિક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આમાં, બેંકે લાઈટ અને પોર્ટેબલ પેમેન્ટ સિસ્ટમનો ઉલ્લેખ કર્યો છે. આરબીઆઈએ લખ્યું છે કે આ સિસ્ટમ ન્યૂનતમ હાર્ડવેર અને સોફ્ટવેર સાથે કામ કરશે અને આ સિસ્ટમનો ઉપયોગ જરૂરિયાતના કિસ્સામાં જ કરવામાં આવશે. એટલે કે, UPI અને ચુકવણીની અન્ય પદ્ધતિઓની જેમ, લાઇટવેઇટની સિસ્ટમ બધા માટે ખુલ્લી રહેશે નહીં. આ સિસ્ટમનો ઉપયોગ ફક્ત તે પરિસ્થિતિઓમાં જ થશે જેમાં પ્રવર્તમાન ચુકવણી પ્રણાલીઓ કામ કરી શકશે નહીં.
આરબીઆઈનું કહેવું છે કે આ સિસ્ટમ કોઈ પણ સંજોગોમાં દેશની પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમને બંધ થવા દેશે નહીં અને અર્થતંત્રની લિક્વિડિટી પાઇપલાઇનને સાચવશે. આ સિસ્ટમની શરૂઆત સાથે, આવશ્યક ચુકવણી સેવાઓમાં કોઈ અવરોધ નહીં આવે. આ સિસ્ટમનો હેતુ અર્થતંત્રને સ્થિર રાખવા માટે જરૂરી એવા વ્યવહારોમાં મદદ કરવાનો છે.
સેન્ટ્રલ બેંકે પોતાના નિવેદનમાં લખ્યું છે કે, “તે પેમેન્ટ સિસ્ટમમાં એ જ રીતે કામ કરશે જે રીતે યુદ્ધની સ્થિતિમાં બંકર કામ કરે છે. આનાથી આત્યંતિક પરિસ્થિતિઓમાં પણ ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય બજારના માળખામાં લોકોનો વિશ્વાસ વધશે.
UPIથી કેવી રીતે અલગ હશે લાઇટવેઇટ સિસ્ટમ ?
હાલમાં, ભારતમાં વિવિધ ચુકવણી વિકલ્પો ઉપલબ્ધ છે. આરબીઆઈનું કહેવું છે કે આ તમામ મોટા વ્યવહારો કરવા સક્ષમ છે. જો કે, આ એક જટિલ નેટવર્ક અને અદ્યતન માહિતી ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે. આરબીઆઈનું કહેવું છે કે આત્યંતિક પરિસ્થિતિઓમાં માહિતી અને સંચાર માળખાને અસર થાય છે. તેના કારણે આ પેમેન્ટ સિસ્ટમ્સ કામ કરી શકતી નથી. એટલા માટે એ જરૂરી છે કે આપણે આવી પરિસ્થિતિ માટે તૈયાર રહીએ.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો