ISRO મિશન: જાપાન સાથે મળીને ભારત 2024 માં મોકલશે ચંદ્રયાન
ભારતની સંસ્થા ISRO અને જાપાનની સંસ્થા JAXA મળીને વર્ષ 2024 માં ચંદ્ર પર અવકાશયાન મોકલશે. આ ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલશે.
ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન (ISRO) અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) મળીને વર્ષ 2024 માં અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલશે. આ માટે બંને દેશો મળીને તૈયારી કરી રહ્યા છે. બંને દેશોની અંતરિક્ષ એજન્સીઓએ ગુરુવારે સંયુક્ત ચંદ્ર ધ્રુવીય સંશોધન અભિયાન (એલયુપીએક્સ) પર ભાગીદારીની સમીક્ષા કરી.
ભારત-જાપાન સંયુક્ત મિશન મૂનની યોજના 2017 માં જાહેર કરવામાં આવી હતી. જો ચંદ્રયાન -2 નું દક્ષિણ ધ્રુવ પર સફળતા પૂર્વક લેન્ડિંગ થઇ ગયું હોત, તો તે સંયુક્ત પ્રોજેક્ટને આગળ વધારવામાં મદદરૂપ થાત. પરંતુ ઇસરોના સૂત્રોનું કહેવું છે કે હજી ઘણી સંભાવનાઓ છે અને ઇસરો તેમજ જાક્સાના વૈજ્ઞાનિકો સતત તેના પર કામ કરી રહ્યા છે.
અંતરિક્ષ વિભાગમાં સચિવ અને ઇસરોના પ્રમુખ કે.સિવન અને જાક્સા અધ્યક્ષ હિરોશી યામાકાવાએ ઓનલાઈન દ્વિપક્ષીય બેઠકમાં પોતપોતાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
ઇસરોએ (ISRO) કહ્યું કે પૃથ્વી નિરીક્ષણ, ચંદ્ર સહયોગ અને ઉપગ્રહ સંશોધક પર ચાલુ સહકારની સમીક્ષા કરવા ઉપરાંત, બંને દેશોએ અવકાશની સ્થિતિ અંગે જાગૃતિ અને વ્યાવસાયિક વિનિમય કાર્યક્રમમાં સહયોગની તકો શોધવાની સંમતિ આપી.
આ સમય દરમિયાન બંને અંતરિક્ષ એજન્સીઓએ ચોખાના પાકના ક્ષેત્ર સાથે સંબંધિત સહયોગ પ્રવૃત્તિઓ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને હવાની ગુણવત્તાની દેખરેખ માટેના અમલીકરણ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.