
IPL 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કર્યા પછી, ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશીની પસંદગી અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ કુમાર સંગાકારાએ આ યુવા બેટ્સમેન અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષની ઉંમરે વિશ્વના અગ્રણી બોલરો સામે નિર્ભયતાથી બેટિંગ કરી છે. શ્રીલંકાના આ દિગ્ગજનું માનવું છે કે વૈભવ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
IPL 2026 ના બીજા ક્વોલિફાયરમાં હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોવા છતાં વૈભવ સૂર્યવંશીનું પ્રભાવશાળી પ્રદર્શન સમગ્ર સિઝન દરમિયાન ચર્ચાનો વિષય રહ્યું. 15 વર્ષીય બેટ્સમેને IPL 2026માં 237.31ના સ્ટ્રાઇક રેટ સાથે 776 રન બનાવ્યા છે. જે તેની અસાધારણ ક્ષમતાને દર્શાવે છે.
વૈભવે આ સિઝનમાં જસપ્રીત બુમરાહ, કાગીસો રબાડા અને પેટ કમિન્સ જેવા બોલરો સામે આક્રમક બેટિંગ કરી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજો તરફથી પ્રશંસા મેળવ્યા પછી, કુમાર સંગાકારાએ હવે સંકેત આપ્યો છે કે વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર છે. સંગાકારાએ RR vs GT મેચ પછી કહ્યું હતું કે કોઈ ખેલાડી તૈયાર છે કે નહીં તે મેદાનમાં ઉતરે ત્યાં સુધી કહી શકાતું નથી. પરંતુ વૈભવે વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બોલરો સામે જે પ્રદર્શન કર્યું છે તે જોતાં, મારું માનવું છે કે તે કોઈપણ પડકારનો સામનો કરવા માટે વૈભવ તૈયાર છે. સંગાકારાને વિશ્વાસ છે કે તેને ટીમ ઈન્ડિયામાં ખૂબ જ જલ્દી બોલાવવામાં આવશે.
ભારતીય ટીમ જૂનના અંતમાં આયર્લેન્ડમાં T20 મેચ રમવાની છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે વૈભવ સૂર્યવંશીને તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. વૈભવે એલિમિનેટરમાં 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમી ત્યારબાદ બીજા ક્વોલિફાયરમાં 47 બોલમાં 96 રન બનાવ્યા.
બેટિંગથી બોલરોને રડાવનાર વૈભવ સૂર્યવંશી પોતે પણ રડવા લાગ્યો. વૈભવ સૂર્યવંશીના આ આંસુ IPL 2026ની ક્વોલિફાયર 2 મેચમાં હાર પછી આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ આ મેચ ગુજરાત ટાઇટન્સ સામે 7 વિકેટથી હારી ગયું. રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીની 96 રનની તોફાની ઇનિંગના આધારે 214 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં ગુજરાત ટાઇટન્સે ફક્ત 3 વિકેટ ગુમાવી 8 બોલ પહેલા જ લક્ષ્ય હાંસલ કર્યું.