રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL 2024 સીઝનમાંથી દુર થવાનો નિર્ણય લીધો છે.તેણે અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. સોમવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરસીબીની હાર બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે મેક્સવેલે આ જાહેરાત કરી હતી. મેક્સવેલને આ સિઝનમાં તેના ખરાબ ફોર્મના કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ તો તે પ્લેઈંગ 11નો પણ ભાગ ન હતો. વિલ જૈક્સ તેના સ્થાને પ્લેઈંગ 11માં જગ્યા બનાવી હતી.
મેક્સવેલે કહ્યું પાવરપ્લે બાદ અમારી બેટિંગ થોડી નબળી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં મેક્સવેલે કહ્યું કે, હાલના સમયમાં તેની માનસિક અને શારીરિક સ્થિતિ સારી નથી. આ માટે તેમણે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એ જણાવ્યું નથી કે, તે આ લીગ આગળ રમશે કે કેમ, કે પછી આઈપીએલ 2025ની સીઝનમાંથી વાપસી કરશે. ગ્લેન મેક્સવેલે સાતમાંથી 6ઠ્ઠી મેચમાં હાર બાદ કહ્યું, અંગત કારણોસર મારા માટે હાલમાં કાંઈ સરળ નથી.હું છેલ્લી મેચ પછી ફાફ (ડુ પ્લેસિસ) અને કોચ પાસે ગયો અને કહ્યું કે મને લાગે છે કે હવે કદાચ આપણે કોઈ બીજાને અજમાવીએ.
ખેલાડીએ કહ્યું કે, હવે ખરેખર મારે માનસિક અને શારીરિક બ્રેક લેવો જોઈએ, મારા શરીરને યોગ્ય કરવા માટે એક સારો સમય આપવાની આ તક છે. જો ટૂર્નામેન્ટ દરમિયાન રમવાની જરુર પડે છે તો હું આશા રાખું છુ કે,હું માનસિક અને શારીરિક સ્થિતિમાં પરત ફરી શકું,મેક્સવેલે આ સીઝનમાં અત્યારસુધી કુલ 6 મેચમાં 5.33 ની સરેરાશથી 94.12ના સ્ટ્રાઈક રેટથી માત્ર 32 રન બનાવ્યા છે. આ પહેલા પણ તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ ચુક્યો છે.
આરસીબીની ટીમ આઈપીએલ 2024માં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આરસીબીએ 7 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી છે.સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ RCB સામેની મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી IPLમાં સૌથી વધુ 287 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટને આરસીબીની ટીમ પુરો કરી ન શકી અને ટીમની હાર થઈ હતી.
Published On - 12:07 pm, Tue, 16 April 24