
દાંતેવાડા જિલ્લાના છિંદનાર ગામમાં બુધવારે એક ઐતિહાસિક અને ભાવનાત્મક દૃશ્ય જોવા મળ્યું, જ્યારે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ત્યાં પહોંચ્યા. લાંબા સમયથી નક્સલ પ્રભાવિત ગણાતા આ વિસ્તારમાં તેમની હાજરીએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું.
ગામના મેદાનમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા બાળકો અને સ્થાનિક લોકો માટે સચિનને નજીકથી જોવાનો અને તેમની સાથે વાત કરવાનો અવસર ખૂબ જ વિશેષ રહ્યો. તેમણે બાળકો સાથે ટગ-ઓફ-વોર સહિતની રમતોમાં ભાગ લીધો અને દરેક ક્ષણને યાદગાર બનાવી દીધી.
સચિનની સરળતા અને બાળકો સાથેનો તેમનો મિત્રભાવ જોઈને દરેકના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું હતું. બાળકો માટે આ ક્ષણ સ્વપ્ન સમાન હતી, કારણ કે તેઓ જેને માત્ર ટીવી પર કે પેપરમાં જોતા હતા, તે આજે તેમની સાથે રમતા હતા.
આ કાર્યક્રમ દરમિયાન સચિને ગામના લોકો સાથે પણ સંવાદ કર્યો અને વિસ્તારમાં થઈ રહેલા બદલાવની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે રમતગમત બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મક વિચારધારા વિકસાવે છે.
VIDEO | Indian cricket legend Sachin Tendulkar (@sachin_rt) spent an afternoon in Chhindnar, Dantewada, playing tug-of-war with tribal children. In the Naxal-affected Bastar region, the icon, known to them only through TV and newspapers, joined the children on the field, turning… pic.twitter.com/wubDLh54Wp
— Press Trust of India (@PTI_News) April 22, 2026
તેમણે વધુમાં જણાવ્યું કે બસ્તરના ઘણા વિસ્તારોમાં રમવા માટે યોગ્ય મેદાનોની અછત છે, જેને દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીં આવી તેમના બાળપણના દિવસોની યાદો તાજી થઈ ગઈ હોવાનું પણ સચિને જણાવ્યું હતું.
સચિને પોતાના પરિવારનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની પત્ની અંજલિ અને પુત્રી સારા તેમના ફાઉન્ડેશન સાથે જોડાયેલા કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમનો પરિવાર સામાજિક પરિવર્તનના કાર્યમાં સતત સહયોગ આપે છે.
અંતે, સચિને ગામના બાળકો અને લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે અહીં મળેલો પ્રેમ તેમના માટે અમૂલ્ય છે. આ મુલાકાત માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ બસ્તરના બદલાતા ભવિષ્યની એક મજબૂત ઝલક બની ગઈ.