
IPL 2026ની સિઝનમાં દરેક મેચ સાથે પ્લે-ઓફનું સમીકરણ બદલાઈ રહ્યું છે. ગઈ કાલે (16મે) રમાયેલી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ઈડન ગાર્ડન્સના મેદાન પર ગુજરાત ટાઇટન્સને (GT) હરાવી IPL પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે. કોલકાતાની આ જીતથી પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ થઈ છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ સીધી ટોચ પર છે.
કોલકાતા નાઈટ રાઈડર્સેનું ગઈ કાલના (16મે) મેચમાં સારૂં પ્રદર્શન રહ્યું. KKR 12 મેચ રમી છે. જેમાં 5 જીત અને 6 હાર છે. જોકે તેમનો નેટ રન રેટ -0.038 છે. કોલકાતા હજુ પ્લે-ઓફની રેસમાંથી બહાર નથી. જો તેઓ આગામી મેચોમાં મોટા માર્જિનથી જીત મેળવે છે, તો કોલકાતા નાઈટ રાઈડર્સ ટોપ 4માં સ્થાન મેળવી શકે છે.
બીજી બાજુ, આ હારથી ગુજરાત ટાઇટન્સને ભારે ફટકો પડ્યો છે. ગુજરાતે અત્યાર સુધી 13 મેચ રમી છે. તેમાંથી તે 8 મેચ જીતી છે અને 5 હારી છે. ગુજરાત ટાઇટન્સ 16 પોઇન્ટ સાથે હાલમાં 2 નંબર પર છે. આ હાર પછી પણ, ગુજરાતનો નેટ રન રેટ +0.400 છે. તેથી તેઓ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ગુજરાત પાસે હવે ફક્ત એક જ મેચ બાકી છે અને જો તેઓ તે મેચ જીતી જાય છે તો પણ તેઓ ટોચની બે ટીમોમાં રહેશે.
કોલકાતાએ ગુજરાતને હરાવવાનો સીધો ફાયદો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને થયો છે. RCB 12 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ પર છે, પરંતુ તેઓ તેમના સારા નેટ રન રેટ +1.053 ને કારણે ટેબલમાં ટોચ પર છે. હવે RCBની આગામી મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે થશે. જો RCB આજે (17મે) પંજાબ કિંગ્સને હરાવે છે તો તેમની પાસે 18 પોઈન્ટ હશે અને તેમના નામની આગળ સત્તાવાર રીતે ‘Q’ (ક્વોલિફાઇડ) હશે એટલે કે પ્લે-ઓફ માટે ક્વોલિફાય છે. પંજાબને હરાવ્યા પછી RCBને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમવાનું છે. જો RCB તે મેચ જીતે છે, તો તેઓ સીધા 20 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
પંજાબ કિંગ્સ એક મોટા પડકારનો સામનો કરી રહી છે. પંજાબ કિંગ્સ હાલમાં 12 મેચમાં 6 જીત સાથે 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પંજાબ માટે આગામી મેચ કરો યા મરો જેવી હશે. જોકે, સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે પંજાબની ટીમ ચોક્કસપણે સતત 6 મેચ હારવાની ભૂલ નહીં કરે અને RCB ને કડક ટક્કર આપશે. વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, RCB અને ગુજરાત પાસે 16 પોઈન્ટ છે. હૈદરાબાદ પાસે 14 પોઈન્ટ છે અને પંજાબ પાસે 13 પોઈન્ટ છે. જ્યારે રાજસ્થાન અને ચેન્નાઈ 12 પોઈન્ટ સાથે પાચમાં અને છઠ્ઠાં સ્થાને છે.