ભારતીય ક્રિકેટ કંટ્રોલ (BCCI) બોર્ડ હવે IPL ની બાકી રહેલી સિઝનને પુરી કરવા માટેના વિકલ્પોને પણ ચકાસી રહી છે. બોર્ડે ગત 4 મેના રોજ બાયોબબલમાં કોરોના સંક્રમણ સામે આવવાને લઇને ટુર્નામેન્ટને સ્થગીત કરી દીધી હતી. આઇપીએલની સિઝન 2021 માં હજુ 31 મેચો રમાડવાની બાકી છે. જે બાકી મેચોના આયોજનને લઇને BCCI હાલમાં યોગ્ય વિકલ્પને શોધી રહી છે. જોકે તેમને હાલમાં સ્થિતી મુશ્કેલ લાગી રહી છે. આવામાં વિદેશથી બીસીસીઆઇ સમક્ષ મદદના સંદેશા મળી રહ્યા છે. ઇંગ્લેંડની કાઉન્ટી ઓ બાદ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket Board) દ્વારા વિશ્વની સૌથી મોટી T20 લીગની બાકી મેચોના આયોજનને લઇને પ્રસ્તાવ રાખ્યો છે.
આઇપીએલ 2021 માં આ વખતે શ્રીલંકાનો કોઇ પણ ખેલાડી સામેલ થયો નહોતો. તેના બાદ પણ શ્રીલંકામાં પણ આ ટુર્નામેન્ટને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સાથે શ્રીલંકાના બોર્ડને પણ તેમના આર્થીક ફાયદાની આશા છે. જેને લઇને તે પોતાની ધરતી પર ટુર્નામેન્ટના બાકીના આયોજનને માટે આગળ આવ્યું છે. ગત વર્ષે પણ આવી જ રીતે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટનું આયોજન પોતાના આંગણે કરવા માટે ઇચ્છા દર્શાવી હતી. જોકે તે વખતે યુએઇ ને પસંદ કરવામાં આવ્યું હતું.
સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં આયોજનનો પ્રસ્તાવ
હવે જ્યારે બીસીસીઆઇને એક વાર ફરીથી ટુર્નામેન્ટને લઇને નવા સ્થળને શોધવાની સમસ્યા છે. આવા સમયે જ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ સમક્ષ પ્રસ્તાવ રાખ્યો છે. શ્રીલંકા ક્રિકેટના મેનેજીંગ સમિતિના અધ્યક્ષ અર્જૂન ડી સિલ્વા એ કહ્યુ હતું કે, સપ્ટેમ્બરમાં તેનું આયોજન કરી શકાય છે. તેમણે કહ્યુ હતું કે, હા બિલકુલ અમે સપ્ટેમ્બર મહિનામાં આઇપીએલના આયોજન માટે વિન્ડો ઉપલબ્ધ કરાવી શકીશુ. અમને જાણકારી છે કે, યુએઇ તેમનો એક વિકલ્પ છે. જોકે શ્રીલંકાને પણ કોઇ કારણથી નજર અંદાજ કરી શકાય નહી.
આ પહેલા ઇંગ્લેંડે પણ ઇચ્છા વ્યક્ત કરી હતી
ડિસિલ્વા એ તર્ક પણ આપ્યો હતો કે, લંકા પ્રિમિયર લીગને જૂલાઇ-ઓગષ્ટમાં બીજી સિઝનના રુપે આયોજીત કરવાની યોજના છે. તેના માટે તૈયાર કરવામાં આવનાર તમામ સંસાધનોનો ઉપયોગ આઇપીએલમાં કરી શકાય છે. શ્રીલંકા પહેલા પણ ઇંગ્લેંડ ક્રિકેટની 4 કાઉન્ટી ક્લબો એ પણ આઇપીએલની બાકી રહેલી 31 મેચોને આયોજીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. સરે, લેંકશાયર, મિડિલસેક્સ અને વોરવિક્શર કાઉન્ટીઓએ ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડને પત્ર લખીને બીસીસીઆઇ સામે આ પ્રસ્તાવ રાખવા માટે કહ્યુ છે.