IPL 2021: હાલમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે રમાઇ રહેલી આઇપીએલ 2021 ની મેચોને લઇને મનોરંજન મેળવનારા ફેંન્સ માટે સોમવારે નિરાશા વ્યાપી હતી. સોમવારની IPL મેચ મોકૂફ રહેવાને લઇને ફેસ એ નિરાશા અનુભવી હતી. કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાનારી સિઝનની 30મી મેચ કોરોના વાયરસ ખેલાડીઓને સંક્રમિત કરવાને લઇને સ્થગિત કરી દેવાઇ હતી.
તેની પાછળનુ કારણ કલકત્તાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) અને ઝડપી બોલર સંદિપ વોરિયર (Sandeep Warrier) ને કોરોના સંક્રમણ જણાયુ હતુ. આ બધુ જ થવા બાદ સવાલ એ પેદા થઇ રહ્યો છે, કે આકરા કોરોના પ્રોટોકોલ વચ્ચે આઇપીએલ ટીમમાં કોરોના કેવી રીતે ફેલાયો.
આ માટે મીડિયા રિપોર્ટનુસાર એમ માનવામાં આવી રહ્યુ છે કે, વરુણ ચક્રવર્તીની બેદરકારીએ આ મુશ્કેલી ઉભી કરી છે. જેની ભૂલને લઇને જ મેચને સ્થગીત કરવી પડી હતી. જાણકારી મુજબ વરુણ ચક્રવર્તીને થોડાક દીવસ અગાઉ કોણીમાં સમસ્યા સર્જાઇ હતી. જેને લઇને તેને હોસ્પીટલ લઇ જવાયો હતો. તેના બાદ વરુણ હોસ્પીટલથી પરત ફરતા, ક્વોરન્ટાઇન હેઠળ મોકલવાને બદલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પણ રમી લીધી હતી. આ ભૂલને લઇને આઇપીએલ ના બાયોબબલમાં છેદ સર્જાયો અને કોરોના સંક્રમણ સામે આવ્યુ હતુ. બાદમાં કોરોના ટેસ્ટમાં તેનો સાથી ખેલાડી સંદિપ પણ કોરોના સંક્રમિત જણાયો હતો.
જોકે હાલમાં કલકત્તાની પૂરી ટીમ હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવી છે. બીસીસીઆઇ ના મુજબ અન્ય ખેલાડીઓ નેગેટીવ જણાઇ આવ્યા છે. દેશભરમાં કોરોનાની જે સ્થિતી છે, તેને જોતા આઇપીએલમાં ખૂબ જ સતર્કતા વર્તવામાં આવી રહી છે. જોકે આમ છતાં પણ બાયોબબલમાં કોરોના સંક્રમણનો પ્રવેશ થવો એ આઇપીએલ પર સંકટ ખડુ કરી શકે છે.
Published On - 8:35 am, Tue, 4 May 21