INDvsAUS: આ 5 ખાસ કારણોને લઈને ભારતે ઓસ્ટ્રેલીયા સામે ડે-નાઈટ એડિલેડ ટેસ્ટ ગુમાવી
એડિલેડ ટેસ્ટમાં ભારતે 8 વિકેટથી શરમજનક હાર સહન કરવી પડી છે. 90 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલીયાએ બે વિકેટ ગુમાવીને આસાન જીત મેળવી હતી
એડિલેડ ટેસ્ટમાં ભારતે 8 વિકેટથી શરમજનક હાર સહન કરવી પડી છે. 90 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલીયાએ બે વિકેટ ગુમાવીને આસાન જીત મેળવી હતી. ઓસ્ટ્રેલીયાના જો બર્ન્સે અણનમ 51 રન અને મેથ્યુ વેડે 33 રનની રમત રમી હતી. ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ઓસ્ટ્રેલીયાએ હવે 1-0ની લીડ મેળવી લીધી છે. આ પહેલા ભારતીય ટીમનું પ્રદર્શન બીજી ઈનીંગમાં કંગાળ રહ્યુ હતુ. 36 રનમાં જ 9 વિકેટ ગુમાવીને પારી સમેટી લેવી પડી હતી. મહંમદ શામીને ઈજા પહોંચતા રીટાયર્ડ હર્ટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી નીચલો સ્કોર છે.
શરમજનક હારના 5 મુખ્ય કારણો
- પૃથ્વી શોને સામેલ કરવો પડ્યો ભારેઃ માનવામાં આવતુ હતુ કે કેએલ રાહુલ અથવા શુભમન ગીલને સ્થાન મળશે. દિગ્ગજ ખેલાડીઓએ પણ શુભમન ગીલને યોગ્ય વિકલ્પ ગણાવ્યો હતો. કોહલીએ જો કે આઉટ ફોર્મ પૃથ્વી શો પર ભરોસો રાખ્યો હતો. પૃથ્વી શો પ્રથમ ઈનીંગમાં 0 અને બીજી ઈનીંગમાં ફક્ત 4 રન બનાવ્યા હતા. બંને પારીમાં તે કુલ 6 બોલ જ રમી શક્યો હતો.
- ટોપ ઓર્ડરને ફ્લોપ શોઃ પૃથ્વી શો બંને ઈનીંગમાં જલ્દી આઉટ થવા બાદ મંયક અગ્રવાલ પણ ખાસ કંઈ કરી શક્યો નહીં. મયંકે 17 અને 9 રનની રમત રમી હતી. ચેતેશ્વર પુજારા 43 રનની ઈનીંગ રમ્યો, પરંતુ બીજા દાવમાં 0 પર જ વિકેટ ગુમાવી. પુજારાની વિકેટ બાદ તો મિડલ ઓર્ડર દબાણાં આવ્યુ હોય એમ પરાસ્ત થઈ ગયા.
- કોહલીનો રન આઉટ ટર્નીંગઃ પ્રથમ ઈનીંગમાં વિરાટ કોહલી અને અજીંક્ય રહાણે વચ્ચે ખરાબ તાલમેલ રહ્યો હતો. જેને લઈને રન આઉટથી કોહલીની વિકેટ ગુમાવવી પડી હતી. જે મેચનો મોટો ટર્નીગ પોઈન્ટ ગણી શકાય. કોહલી અને રહાણે ચોથી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી ચુક્યા હતા. કોહલી આઉટ થયો ત્યારે ટીમ 188 રન પર હતી. જ્યારે બાકીની છ વિકેટ માત્ર 56 રન પર જ ગુમાવી દીધી હતી.
- મિડલ ઓર્ડર બન્યુ નબળાઈ: ભારતના મિડલ ઓર્ડરની પોલ બંને ઈનીંગમાં સામે આવી હતી. પ્રથમ ઈનીંગમાં વિરાટ કોહલી આઉટ થયા બાદ મિડલ ઓર્ડરે ઝડપથી વિકેટ ગુમાવી હતી. જ્યારે બીજા દાવમાં પણ આવી જ કહાની રહી. મધ્યમક્રમના બેટ્સમેન ક્રિઝ પર ટકી જ ના રહ્યા. હનુમા અને રિદ્ધીમાન સાહાએ પણ બંને દાવમાં નિરાશા આપી હતી.
- ટીમ પસંદ કરવામાં પણ દેખાઈ ખામીઃ એડિલેડ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન પર અનેક પૂર્વ ક્રિકેટરોએ સવાલ કર્યા હતા. પૃથ્વી શોને સામેલ કરવાને લઈને પણ મોટી ભૂલ ગણવામાં આવી રહી છે. વળી ફોર્મમાં રહેલા કેએલ રાહુલને બહાર રાખવામાં આવ્યો હતો. હનુમા વિહારીના પાછળના ટેસ્ટ રેકોર્ડ જોઈને સમાવવામાં આવ્યો હતો. તે પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો.
આ પણ વાંચો: બિઝનેસમેનના પુત્રનું અપહરણ કરી ૧૦૦ બીટકોઈનની ખંડણી મંગાઈ, 7ની ધરપકડ