ભારતીય ટીમ (Team India) એ ચેન્નાઇમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતમાં ઇંગ્લેંડ (England) ને મુશ્કેલીમાં મુકી દીધુ છે. પ્રથમ પારીમાં 329 રનની રમત રમ્યા બાદ ભારતીય ટીમ એ ઇંગ્લેંડની ટીમને 134 રનમાં જ પેવેલીયનમાં પરત મોકલી દીધી હતી. એમએ ચિદંબરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium,) માં ટર્ન લેતી પિચ પર ભારતીય સ્પિનરોની સામે ઇંગ્લેંડના બેટ્સમેનો સંઘર્ષની સ્થિતીમાં જોવા મળ્યા હતા. ટીમ ઇન્ડીયાના સૌથી સિનીયર સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) એ ઇંગ્લીશ બેટ્સમેનોને સૌથી વધારે પરેશાન કરી દીધા છે. અશ્વિન એ 5 વિકેટ ઝડપીને ઇંગ્લેંડના ટોપ ઓર્ડરને ઉખેડી નાંખ્યુ હતુ. આમ હવે અશ્વિન આ સાથે જ ભારતમાંથી સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેવાના મામલામાં હરભજન સિંહ (Harbhajan Singh) ને પાછળ છોડી દીધો છે.
ચેન્નાઇ ટેસ્ટમાં બીજા દિવસે ઇંગ્લેંડની ઇનીંગમાં પહેલા ઇશાંત શર્મા સાથે બોલીંગની શરુઆત કરનારા અશ્વિને પોતાની ચોથી જ ઓવરમાં પ્રથમ વિકેટ ઝડપી હતી. અશ્વિનની બોલ પર ઓપનર ડોમ સિબ્લી લેગ સ્લિપ પર ઝડપાયો હતો. ત્યાર બાદ અશ્વિનએ પહેલા સેશનની અંતિમ બોલ પર ડેન લોરેન્સ ની પણ વિકેટ ઝડપી હતી.
અશ્વિન આટલેથી જ અટક્યો નહોતો. લંચ બાદના બીજા સેશનનમાં જલ્દીથી પોતાની ત્રીજી વિકેટ પણ ઝડપી લીધી હતી. આ વખતે અશ્વિનએ ઇંગ્લેંડના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બેન સ્ટોકસને એક જબરદસ્ત લેગ બ્રેક પર બોલ્ડ કરી દીધો હતો.
સ્ટોક્સની વિકેટની સાથે જ અશ્વિન એ ભારતમાં પોતાની 266 મી ટેસ્ટ વિકેટ ઝડપી હતી. આમ રીતે જ અશ્વિને દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ ને પાછળ છોડી દીધા હતા. હરભજનના નામે 55 ટેસ્ટમાં 265 વિકેટ છે. તો વળી અશ્વિન ભારતમાં પોતાની 45 મી ટેસ્ટમાં જ હરભજન સિંહ થી આગળ નિકળી ગયા છે. ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે છે. કુંબલે એ ભારતમાં 63 ટેસ્ટ મેચ રમીને 350 વિકેટ ઝડપી છે.
આ ઉપરાંત અશ્વિન એ સ્ટોક્સની સામે પોતાનો રેકોર્ડ સુધાર્યો હતો. અશ્વિન એ સ્ટોક્સને ટેસ્ટ ક્રિકેટમાં 9મી વખત આઉટ કર્યો છે. અશ્વિન એ સૌથી વધુ વખત 10 વાર ઓસ્ટ્રેલીયાના ઓપનર ડેવીડ વોર્નરને પોતાનો શિકાર બનાવ્યો છે.