સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા ક્રિકેટર અવી બારોટનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.ગત 15 ઓક્ટોબરના રોજ હ્દય રોગના હુમલાને કારણે ૨૯ વર્ષની ઉંમરે અવીનું અવસાન થયું છે અવી બારોટના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અવી બારોટ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા હતા અને એક સારા બેટ્સમેન અને વિકેટકીપર હતા બે દિવસ પહેલાં જ અવી બારોટે રણજી ટ્રોફી મેચમાં ગુજરાત સામે 45 બોલમાં 72 રન ફટકારીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વર્ષમાં જ યોજાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માં 37 બોલમાં 122 રન ફટકારીને પોતાની અદ્ભુત બેટિંગનો પરચો બતાવ્યો હતો.
સૌરાષ્ટ્રે સારા ક્રિકેટર ગુમાવ્યા- જયદેવ શાહ
આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અવીના મૃત્યુ અંગેના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.તેની પાસે અદભૂત ક્રિકેટ સ્કીલ હતી .દરેક મેચમાં તેને પોતાનું કૌશલ્ય બતાવ્યું છે તે ખૂબ જ પ્રેમાળ અને મળતાવડા સ્વભાવના હતા.
તેમના મૃત્યુથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દુઃખની લાગણી અનુભવે છે ભગવાન આ દુઃખની ઘડીમાં તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી,
અવી અત્યાર સુધીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે જ્યારે 20 ડોમેસ્ટિક T-20 મેચ રમી ચૂક્યો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી તેમણે 21 રણજી ટ્રોફી મેચ રમી છે જેમાં 17 મેચ ફર્સ્ટ ક્લાસ અને ૧૧ ડોમેસ્ટિક ક્રિકેટ ટી ટ્વેન્ટી મેચ છે હાલમાં અવી ipl ની તૈયારી કરી રહ્યો હતો જો કે તે પહેલા જ તેનું નિધન થતા તેમના ચાહકો અને સૌરાષ્ટ્રભરના ક્રિકેટરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અવી બારોટની કારકિર્દી
અવી બારોટ વિકેટકીપર અને જમણા હાથના બેટ્સમેન હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક ટી -20 માં 717 રન બનાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રએ 2019-20 સિઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ત્યારે અવી બારોટ તેનો એક ભાગ હતો. સૌરાષ્ટ્ર માટે, તેમણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી.
53 બોલમાં 122 રન, T20 માં એકમાત્ર સદી
અવી બારોટ વર્ષ 2011 માં ભારતની અંડર -19 ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેણે સ્થાનિક ટી 20 માં માત્ર એક સદી ફટકારી હતી, જે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફટકારી હતી. તેમણે ગોવા સામેની મેચમાં માત્ર 53 બોલમાં 122 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ આજથી શરૂ કરશે પ્રશિક્ષણ વર્ગ, સરકાર અને સંગઠનમાં તાલમેલ વધારવા પ્રયાસ
આ પણ વાંચો : ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી શરૂ થયું, પ્રવાસીઓમાં આનંદ
Published On - 10:28 am, Sat, 16 October 21