ટીમ ઇન્ડીયા (Team India) એ ઓસ્ટ્રેલિયા (Australia) ને ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1 થી તેના જ ઘરમાં હરાવી દીધી હતી. ભારતીય ટીમ હવે ઇંગ્લેંડ (England) સામે ટેસ્ટ સિરીઝ માટે તૈયાર છે. બંને દેશો વચ્ચે 5 ફેબ્રુઆરી ટેસ્ટ સિરીઝની શરુઆત થનારી છે. ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં પ્રથમ બે ટેસ્ટ રમાનારી છે, જ્યાં ભારતનો રેકોર્ડ ઇંગ્લેંડ સામે ટેસ્ટ ક્રિકેટમાં સારો રહ્યો છે.
ઇંગ્લેંડની વાત કરવામાં આવે તો, શ્રીલંકાને બે મેચોની સિરીઝમાં 2-0 થી હરાવ્યુ છે. જેને લઇને ટીમ ઇંગ્લેંડનુ મનોબળ પણ ઉંચુ થઇ ગયુ છે. આમ ટેસ્ટ સિરીઝ વધારે રોમાંચક હશે તેમાં કોઇ શંકા નથી. પરંતુ ચેન્નાઇમાં ટીમ ઇન્ડીયાનુ જ ઇંગ્લેંડ સામે ચાલે છે, તેવુ આંકડાઓ કહે છે. એટલે જ જો ભારતીય ટીમ ઇંગ્લેંડ પર હાવી થઇ જાય તો તેમાં આશ્વર્ય નહી થવુ જોઇએ.
ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડીયમની વાત કરવામાં આવે તો, અહીનુ મેદાન ભારતને ખૂબ માફક આવે છે. ચેપોક નામ થી મશહૂર આ મેદાન ઇંગ્લેંડની મહેમાનગતી કરવા માટે પ્રથમ ટેસ્ટ માટે તૈયાર છે. સિરીઝની બીજી મેચ પણ અહી જ રમાનારી છે. આ મેદાન પર બંને દેશો વચ્ચે અત્યાર સુધી કુલ 9 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં ભારતને પાંચ મેચોમાં જીત હાંસલ થઇ છે. જ્યારે ઇંગ્લેંડને અહી ત્રણ મેચોમાં જીત મળી છે. જ્યારે એક મેચ ડ્રો રહી છે. જે વર્ષ 1982માં રમાઇ હતી.
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આખરી ટેસ્ટ બંને દેશો વચ્ચે વર્ષ 2016માં રમાઇ હતી. જેમાં ટીમ ઇન્ડીયાને ઇનીંગ અને 75 રનથી શાનદાર જીત મળી હતી. અહી જ કરુણ નાયરે ઇંગ્લેંડ સામે ત્રેવડુ શતક લગાવ્યુ હતુ. ભારત તરફ થી વિરેન્દ્ર સહેવાગ બાદ તે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડુ શતક લગાવનાર તે બીજો ખેલાડી બન્યો હતો. આ મેચની પ્રથમ ઇનીંગમાં જો રુટ એ 88 રન અને મોઇન અલીના 146 રનના દમ પર ઇંગ્લેંડ એ 477 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં ટીમ ઇન્ડીયાએ પ્રથમ પારીમાં કરુણ નાયરના અણનમ 303 રન અને લોકેશ રાહુલના 199 રનની પારીના દમ પર 7 વિકેટે 759 રન બનાવીને દાવ જાહેર કર્યો હતો. તેના બાદ બીજી ઇનીંગમાં ઇંગ્લેંડ એ 202 રન કર્યા હતા. આમ ચેન્નાઇમાં ભારતીય ટીમએ અત્યાર સુધીમાં 32 ટેસ્ટ રમી છે, જેમાં 14 મેચ જીત્યુ છે, 6 મેચમાં હાર અને 11 મેચ ડ્રો રહી હતી.